• શનિવાર, 27 જુલાઈ, 2024

હંસ્થળ ગામે મકાનને નિશાન બનાવી રૂપિયા 1.15 લાખની તસ્કરી

જામનગર, તા. 1: જામનગરના કાલાવડ પંથકમાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. 24 કલાકમાં ચોરીની ત્રીજી ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ છે. કાલાવડ તાલુકાના હંસ્થળ ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવીને મકાનમાંથી રૂપિયા 54,000ની રોકડ રકમ અને સોના- ચાંદીના દાગીના સહિત 1,11,500 ની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

 કાલાવડ તાલુકાના હંસ્થળ ગામમાં રહેતા અને હાલ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા સુનિલભાઈ બચુભાઈ કારસારિયા નામના યુવાને પોતાના મકાનમાંથી કોઈ તસ્કરો ગઈકાલે ધોળે દહાડે રૂપિયા 54 હજારની રકમ તેમજ જુદા જુદા સોના ચાંદીના દાગીના વગેરે સહિત કુલ 1,11,500 ની માલમતા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સુનિલભાઈના પિતા કે જેમણે ખેતીની આવકની 54,000ની રકમ ઘરના કબાટમાં રાખી હતી જ્યારે અન્ય સોના ચાંદીના દાગીનાઓ પણ કબાટમાં પડયા હતા. દરમિયાન ગઈકાલે બપોરે કોઈ તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અંદરના રૂમમાં રહેલા કબાટનું તાળું તોડી તિજોરીમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિતની માલ મતા ચોરી કરી લઈ ગયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક