• શુક્રવાર, 11 જુલાઈ, 2025

ટ્રેડ ડીલ માટે ફરી અમેરિકા જશે ભારતીય દળ

કૃષિ, ડેરી સહિતના અટવાયેલા મુદ્દે વાતચીત થવાની સંભાવના

નવી દિલ્હી, તા. 10 : ભારતીય વાણિજ્ય મંત્રાલયનું એક દળ ટુંક સમયમાં ફરીથી અમેરિકાની યાત્રાએ જવાનું છે. સરકારી અધિકારીઓ અનુસાર આ યાત્રા ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર વાર્તાને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે.

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતી મુદ્દે તેજીથી વાતચીત ચાલી રહી છે. ભારતીય દળ 26 જુનથી 2 જુલાઈ સુધી વોશિંગ્ટનમાં હતું. આ દળનું નેતૃત્વ વાણિજ્ય મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ કરી રહ્યા હતા. આ દરમિયાન બન્ને પક્ષોએ એક વચગાળાની વ્યાપાર સમજૂતીને અંતિમ રૂપ આપવાની કોશિશ કરી હતી પણ કૃષિ, ડેરી અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં અમુક મુદ્દા ઉપર સહમતિ બની શકી નહોતી.  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે         2 એપ્રિલના ભારત સહિત ઘણા દેશો ઉપર 26 ટકા જવાબી ટેરિફ લાદ્યો હતો. જેને નવ જુલાઈ સુધી 90 દિવસ માટે રોકવામાં આવ્યો હતો. હવે ટ્રમ્પ પ્રશાસને નિર્ણય પહેલી ઓગસ્ટ સુધી રોક્યો છે. જેનાથી ભારતને નિકાસ થતી વસ્તુઓ ઉપર હાલ પૂરતી રાહત મળી છે. તેમજ ટ્રેડ ડીલ કરવા માટે થોડો વધુ સમય મળ્યો છે.

અમેરિકી ટેરિફ નીતિથી ભારતને લાભ ! : નિષ્ણાતો

નવી દિલ્હી, તા. 10 : અમેરિકાની નવી ટેરિફ નીતિ ભારત માટે ફાયદો કરનારી બની શકે છે. એક તાજા અહેવાલ અનુસાર ટ્રમ્પ પ્રશાસન ભારત પર નિયત ટેરિફ કરતાં ઓછો ટેરિફ લાગુ કરી શકે છે. આમ, ભારતમાં વિદેશી રોકાણની તકો વધી શકે છે. સાથોસાથ ભારતીય નિર્માણ ક્ષમતાને વધુ મજબૂતી મળશે. અહેવાલ અનુસાર નવી અમેરિકી ટેરિફ પ્રણાલીમાં અન્ય એશિયાઇ દેશોની તુલનાએ ભારત ઘણી સારી સ્થિતિમાં છે. બીજી તરફ ઇન્ડો પેસિફિકના અનેક દેશોને ટ્રમ્પ સરકાર તરફથી ભારે ટેરિફનો સામનો કરવો પડી શકે છે.

જાણકારોના જણાવ્યા મુજબ વ્યૂહાત્મક ભાગીદાર હોવાનાં કારણે ભારતને અમેરિકા ટેરિફમાં રાહત આપવા માગે છે.

ઓછા અમેરિકી ટેરિફનો લાભ લઇને ભારત ગ્લોબલ સપ્લાય ચેન (વૈશ્વિક પુરવઠા સાંકળ)નો મહત્ત્વનો ભાગ બની શકે છે.

ભાતરને ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, વાહન તેમજ કાપડ જેવાં ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવાની તક ઓછા અમેરિકી ટેરિફનાં કારણે મળી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક