• શુક્રવાર, 11 જુલાઈ, 2025

જામનગરમાં અઢી લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ચિખલીગર ગેંગના બે સાગરીતો રૂા.2.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

જામનગર તા. 10: જામનગરમાં આરામ હોટલના સંચાલિકાના માતાના ઘરે થયેલી રૂ.2.50 લાખની ચોરીનો ભેદ ઉકેલી એલ.સી.બી.એ ચીખલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે તેમજ રૂ.2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

જી.જી.હોસ્પિટલ રોડ પર આવેલી આરામ હોટલના માલિક હિનાબેન દિપકભાઈ ભટ્ટ (ઉ.વ.63)ના માતા- પિતાનું પટેલ કોલોની શેરીનં-3માં આવેલા બંધ બંગલામાં ગત તા.17ના રોજ તસ્કરોએ તાળા તોડી તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ.30 હજાર મળીને કુલ રૂ.2,55,000ની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ચોરીમાં સંડોવાયેલો શખસ શહેરના બેડેશ્વર ઓવરબ્રિજ નીચે રેલ્વે ફાટક પહેલા મુદ્દામાલ સાથે ઉભો હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ વી.એમ.લગારીયાની સુચનાથી પીએસઆઈ પી.એન.મોરી, સી.એમ.કાંટેલીયા સહિતની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન ચીખલીગર ગેંગના મહેન્દ્રાસિંહ ઉધમાસિંહ સરદારજી અને બલરામાસિંગ ચંદાસિંગ સરદારજીને ઝડપી લઇ તેમના કબજામાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂ.20 હજાર, બાઈક અને બે મોબાઈલ મળીને કુલ રૂ.2.25 લાખનો મુદામાલ કબજે કર્યો છે. તેની પુછપરછ કરતા અમદાવાદ બાવળાના હીરાસિંગ લક્ષ્મણાસિંગ પટવાનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક