• શનિવાર, 07 જૂન, 2025

કાશ્મીરમાં મોદી : હાથમાં તિરંગો, વિકાસનો સંદેશો

ચિનાબ નદી ઉપર દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ સહિત વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન : કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી, સંબોધનમાં પાકિસ્તાન પર પ્રહાર

પહલગામ આતંકી હુમલો કાશ્મીરિયત અને માણસાઈ પર, ભારતમાં રમખાણો ભડકાવવાનો ઈરાદો : મોદી

શ્રીનગર, તા.6 : જમ્મુ-કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં ચિનાબ નદી ઉપર બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ સહિત અને વિકાસ કાર્યોનું શુક્રવારે લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધતા પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા. કટરા ખાતે તેમણે કહ્યું કે પહલગામ આતંકી હુમલો કાશ્મીરિયત અને માણસાઈ પર હુમલો હતો. તેનો ઉદેશ ભારતમાં રમખાણો ભડકાવાનો હતો. કાશ્મીરીઓની આવક રોકવાનું પાકિસ્તાનનું ષડયંત્ર હતું. પરિવાર માટે મહેનત કરવા ગયેલા કાશ્મીરી યુવાન આદિલને પણ આતંકવાદીઓએ મારી નાંખ્યો હતો પરંતુ ભારત આતંકવાદ સામે કયારેય નહીં ઝૂકે. અમે 6 મે ના રોજ તેમના ઉપર કયામત વરસાવી હતી. જમ્મુ-કાશ્મીરના યુવાઓ આ લડાઈમાં એકજૂથ છે.

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો ફરકાવીને ઉદ્ઘાટન કર્યુ હતુ.તેઓ હાથમાં તિરંગો લઈને બ્રિજ ઉપર પગપાળા નીકળી ગયા અને જાણે દુનિયાને ભારતની ઉંચી વિકાસ ગાથાનો સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ બ્રિજ એફિલ ટાવર કરતાં પણ ઉંચો છે. લોકો હવે ચિનાબ બ્રિજ દ્વારા કાશ્મીરને જોવા આવશે. આ બ્રિજ એક આકર્ષક પ્રવાસન સ્થળ બનશે. ત્યાર બાદ દેશના પહેલા કેબલ સ્ટે અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ અને કટરામાં કાશ્મીરની પહેલી ટ્રેન કટરા-શ્રીનગર વંદે ભારતને લીલીઝંડી બતાવી હતી. કટરામાં વડાપ્રધાને 4ર મિનિટ સુધી સંબોધન કર્યુ જેમાં આતંકવાદ, પાકિસ્તાન અને કાશ્મીરના પ્રવાસનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દુર્ભાગ્યથી આપણો પાડોશી દેશ માનવતાનો વિરોધી, મેલજોલનો વિરોધી છે. તે એવો દેશ છે જે ગરીબની રોજી રોટીનો પણ વિરોધી છે. રર એપ્રિલે પહલગામમાં જે થયું તે તેનું ઉદાહરણ છે.

વધુમાં કહયું કે કાશ્મીરના લોકોએ એટલી બરબાદી જોઈ છે કે સ્વપ્ન જોવાનું જ બંધ કરી નાંખ્યું હતું. આતંકવાદને જ ભાગ્ય માની લીધુ હતું. અમે તેને બદલીને બતાવ્યું છે. આજે અહીંનો નવયુવાન નવા સ્વપ્ન જોઈ રહયો છે. લોકો ફરી કાશ્મીરને ફિલ્મો અને ખેલોનું હબ બનતું જોવા માગે છે. નરેન્દ્ર મોદીનું વચન છે કે વિકાસ રોકવા નહીં દઉ. કોઈ અવરોધ આવશે તો તેને મોદીનો સામનો કરવો પડશે. ભાજપા-એનડીએના 11 વર્ષ ગરીબ કલ્યાણને નામ સમર્પિત રહયા છે. જમ્મુ-કાશ્મીરમાં આઈઆઈટી, આઈઆઈએમ, એઈમ્સ જેવા સંસ્થાન છે. રિસર્ચ ઈકો સિસ્ટમનો વિસ્તાર થઈ રહયો છે. ચિનાબ બ્રિજ હોય કે અંજી બ્રિજ તેનાથી રાજયનો વિકાસ થશે. ટૂરિઝમ સાથે રેલ કનેકિટવીટી અને બિઝનેસ વધશે. કાશ્મીરના સફરજન દેશના મોટા બજારો સુધી સમયસર પહોંચી શકશે. જમ્મુ-કાશ્મીરના લોકોનું દેશના કોઈ પણ ભાગમાં આવવા જવાનું સરળ બનશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025