હોમલોન, કારલોન, પર્સનલ લોનનાં હપ્તામાં રાહત મળશે : અર્થતંત્રમાં 2.5 લાખ કરોડ રૂપિયાની નાણા પ્રવાહિતા વધશે
રેપો
રેટ 0.5 ટકા ઘટયો : ચાર તબક્કામાં CRR
1 % ઘટાડાશે : ફુગાવો નરમ અને GDP
વૃદ્ધિ 6.5 % રહેવાનું અનુમાન
નવીદિલ્હી,
તા.6: વૈશ્વિક અનિશ્ચિતતા અને આર્થિક આશંકાઓ વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) આજે
દેશનાં અર્થતંત્રમાં નાણા પ્રવાહિતા વધારવા માટે મોટા પગલાં લીધા છે. જેમાં લોન લેતા
લોકો માટે મોટી રાહત આપવામાં આવી છે. આરબીઆઈએ આજે સતત ત્રીજી મૌદ્રિક સમીક્ષામાં રેપો
રેટમાં ઘટાડો કર્યો છે. અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં 0.25 ટકાનાં ઘટાડા બાદ આજે કેન્દ્રીય
બેન્કે 0.5 ટકાનો મોટો ઘટાડો કર્યો છે. આજનાં આ ઘટાડાથી રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.5
ટકા થઈ ગયો છે. જેનાં હિસાબે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનનાં હપ્તામાં રાહત મળશે.
આ ઉપરાંત એક અનપેક્ષિત પગલામાં આરબીઆઈએ કેશ રિઝર્વ રેશિયો(સીઆરઆર) પણ ચાર તબક્કામાં
1 ટકા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેન્કનાં આ પગલાથી દેશની બેન્કિંગ વ્યવસ્થામાં
નવેમ્બર સુધીમાં 2.5 લાખ કરોડ રૂપિયાની નાણા પ્રવાહિતા વધશે.
રિઝર્વ
બેન્ક દ્વારા પોતાની નાણા નીતિનો અભિગમ ઉદારથી બદલીને ફરીથી તટસ્થ કરી નાખ્યો છે. આજે
દેશનાં અર્થતંત્રને ધબકતું રાખવા પ્રોત્સાહક નિર્ણયોની જાણકારી આપતાં આરબીઆઈનાં ગવર્નર
સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026 માટે રિટેલ ફુગાવાનું અનુમાન 0.3
ટકા ઘટાડીને 3.7 ટકા કરી નાખવામાં આવ્યું છે. ફુગાવામાં ઘટાડાનું અનુમાન પ્રમુખ ઘટકોની
કિંમતમાં નરમાશનો ઈશારો કરે છે. આ ઉપરાંત જીડીપી વૃદ્ધિદરનું અનુમાન 6.5 ટકા યથાવત
જાળવી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ચાલુ ખાતાની ખાધમાં પણ સ્થિરતા બની
રહેવાની આશા છે. આરબીઆઈ ગવર્નરે આગળ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેન્કનો વિદેશી મુદ્રા
ભંડાર 30 મે 2025નાં રોજ 692.7 અબજ ડોલરથી ઘટીને 691.5 અબજ ડોલર થયો છે. હવે તા. 4થી
6 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય બેન્કની નાણાનીતિની સમીક્ષા થશે.
આરબીઆઈની
મૌદ્રિક નીતિ સમિતિની બેઠકનાં અંતે આજે કરવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરતાં ગવર્નર
સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્થિતિ નાજૂક છે અને વિભિન્ન દેશોનાં આર્થિક
પરિદૃશ્યો પણ કમજોર બનેલા છે. આ સંજોગોમાં પણ ભારતનું અર્થતંત્ર મજબૂત છે. તેમણે આગળ
કહ્યું હતું કે, બહુ જ ટૂંકાગાળામાં ચાવીરૂપ વ્યાજદરમાં કુલ મળીને 1 ટકાનાં ઘટાડા બાદ
હવે એમપીસી ભવિષ્યની નીતિ તૈયાર કરવા માટે આવકનાં આંકડા અને અર્થતંત્રમાં જોવા મળતા
પરિણામોનું સાવધાનીપૂર્વક આકલન કરશે.