• શનિવાર, 07 જૂન, 2025

માલ્યા પોતાની શરતે ભારત પરત ફરવા તૈયાર

નિષ્પક્ષ સુનાવણી અને સન્માનજનક જીવનની બાંયધરી ભારત સરકાર આપે તો વિચારું : માલ્યા

નવીદિલ્હી,તા.6: ભાગેડું શરાબ કારોબારી ભારતીય એજન્સીઓની વધતી ભીંસથી હવે થાકતો જણાઈ રહ્યો છે પણ હજી તેનો વળ ઓછો થતો નથી. તેણે ભારત પરત ફરવાની ઈચ્છા વધુ એકવાર જાહેર કરી છે પણ સાથોસાથ અગાઉની જેમ જ સરકાર સામે શરત પણ મૂકી છે. તેણે કહ્યું છે કે, જો ભારતમાં નિષ્પક્ષ સુનાવણી અને સન્માનજનક જીવનની બાંયધરી મળે તો તે ભારત પરત ફરવા માટે ગંભીરતાથી વિચારશે.

તાજેતરમાં જ વિજય માલ્યાએ રાજ શમાની સાથે એક પોડકાસ્ટમાં અનેક મુદ્દે ચર્ચા કરી હતી અને આમાં તેણે પોતાની સામેનાં આરોપોનાં જવાબો પણ આપ્યા હતાં. જેમાં ભારત પરત ફરવા અંગેનાં સવાલોનો જવાબ આપતા માલ્યાએ કહ્યું હતું કે, ભારતમાં નિષ્પક્ષ કાનૂની સુનાવણી અને સન્માનજનક જીવનની કોઈ ગેરન્ટી નથી. જો તે મળે તો ભારત પરત ફરવા વિચારી શકે છે.

શરાબ કારોબારી માલ્યાએ આગળ કહ્યું હતું કે, ભારત સરકાર બ્રિટનથી કેટલાક લોકોને પરત લાવવાની કોશિશ કરી રહી છે. જો કે યુકેની અદાલતો એ બાબતે વિચારણા કરી રહી છે કે, શું ભારતની જેલોમાં માનવઅધિકારોનું સન્માન થાય છે કે નહીં? એક કેસમાં બ્રિટિશ કોર્ટને ધ્યાને આવ્યું હતું કે, ભારતીય જેલમાં કેદીઓ સાથે અમાનવીય વ્યવહાર થાય છે. તેથી કોર્ટે કેટલાક લોકોને પરત નહીં મોકલાવનું નક્કી કર્યુ હતું. આ ઉપરાંત વિજય માલ્યાએ ભારતમાં તેની બદનામી વિશે વાત કરતાં કહ્યું હતું કે, મને ભાગેડું કહી શકો પણ ચોર ન કહેવો જોઈએ. તેણે આગળ કહ્યું હતું કે, તેણે શું ચોરી કરી છે તો તેને ચોર કહેવામાં આવી રહ્યો છે? હું કંઈ ભાગ્યો ન હતો પણ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ ભારતની બહાર ગયો હતો અને પછી ભારત પરત નહીં ફરતા તેને ભાગેડું કહેવામાં આવી શકે છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025