• શનિવાર, 07 જૂન, 2025

જીએસટી માં 12 ટકાનો સ્લેબ હટાવાશે !

જરૂરી ચીજોને 5 ટકાના સ્લેબમાં રાખવામાં આવે તેવી સંભાવના : કાઉન્સિલ દ્વારા પ્રસ્તાવની તૈયારી

નવી દિલ્હી, તા.5 : હાલ દેશમાં ચાર જીએસટી સ્લેબ (5%, 12%, 18% અને 28%) છે. જીએસટી કાઉન્સિલ તરફથી આગામી બેઠકમાં જીએસટી સ્લેબને સરળ બનાવવા માટે મોટું પગલું ઉઠાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કાઉન્સિલ ચાર સ્લેબ ઘટાડીને તેના ત્રણ સ્લબ કરવા પર વિચાર કરી રહી છે. કાઉન્સિલ તરફથી 12% ના દરને હટાવવાનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે. આ પગલું ટેક્સ સ્ટ્રક્ચરને સરળ બનાવવા માટે ઉઠાવવામાં આવે તેવી આશા છે. સૂત્રોનો દાવો છે કે જીએસટી કાઉન્સિલના સલાહકાર અધિકારીઓ વચ્ચે આ વાત પર લગભગ સહમતિ બની ચૂકી છે કે 12% સ્લેબ હવે વધુ પ્રાસંગિક નથી. 

એક રિપોર્ટ મુજબ સામાન્ય લોકોના ઉપયોગ માટેની જરૂરી વસ્તુઓને  5%ના સ્લેબમાં રાખવામાં આવી શકે છે. બાકીની ચીજોને 18%ના સ્લેબમાં શિફટ કરવામાં આવી શકે છે. એક સૂત્રએ જણાવ્યું કે ‘આ રેવન્યૂને પ્રભાવિત કર્યા વગર ટેક્સ દરોને સરળ બનાવવાની સૌથી સારી રીત હોઈ શકે છે. જો કે તેના પર કોઈ પણ પ્રકારનો અંતિમ નિર્ણય જીએસટી  કાઉન્સિલ તરફથી લેવાશે.‘ જીએસટી કાઉન્સિલની આગામી બેઠક જૂનના અંતમાં કે જુલાઈમાં થઈ શકે છે. જીએસટી કાઉન્સિલમાં કેન્દ્રીય નાણા મંત્રી અને રાજ્યોના નાણા મંત્રી સામેલ થાય છે. છેલ્લે આ બેઠક ડિસેમ્બર 2024માં થઈ હતી. 

હાલ દેશમાં ચાર જીએસટી સ્લેબ 5%, 12%, 18% અને 28% છે. હાલ જરૂરીયાતની વસ્તુઓ પર ઓછો ટેક્સ અને મોજશોખની વસ્તુઓ પર વધુ ટેક્સ રખાય છે. ગરીબો માટે પેક કર્યા વગરના ખાદ્ય પદાર્થો, દૂધ, મીઠું, તાજા શાકભાજી, શિક્ષણ અને હેલ્થ સર્વિસીસ પર કોઈ પણ પ્રકારના ટેક્સ નથી. 

જાણકારોનું કહેવું છે કે 12 ટકા સ્લેબ  હટાવવાનો નિર્ણય સારો છે. ઈવાય ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે કહ્યું કે આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સ સ્લેબને સરળ બનાવવા પર ફોકસ કરાશે. 12% ના સ્લેબને હટાવીને ત્રણ સ્લેબ કરવાથી કામ સરળ બનશે. આ ફેરફારમાં રેવન્યૂને પ્રભાવિત ન થવા દેવી જરૂરી છે. 12% સ્લેબમાં  સામન્ય વ્યક્તિની જરૂરિયાતો અને ઈન્ડસ્ટ્રિયલ સામાન સામેલ છે. તેમને 5% કે 18% સ્લેબમાં લઈ જવાથી રેવન્યૂ પર અસર પડી શકે છે. 12% થી 18% સ્લેબમાં જતી વસ્તુઓના ભાવ વધી શકે છે. 

જીએસટી કાઉન્સિલની બેઠકમાં જો 12 ટકાના ટેક્સ સ્લેબને હટાવવાનો નિર્ણય લેવાય તો તેમાં આવનારી વસ્તુઓને 5 ટકા કે 18 ટકાના સ્લેબમાં શિધટ કરવામાં આવી શકે. 12થી 5 ટકાના સ્લેબમાં જનારી વસ્તુઓ જેમ કે મસાલા અને કેરોસિન જેવી વસ્તુઓ સસ્તી થાય તેવી આશા છે. બીજી બાજુ 12થી 18 ટકાના સ્લેબમાં જનારી વસ્તુઓ જેમ કે ડિટરજન્ટ અને પ્લસ્ટિકના સામાન મોંઘા થઈ શકે. 

અનેક વિકસિત દેશોમાં જીએસટીના એક કે બે સ્લેબ લાગુ છે. જો ત્રણ ટેક્સ સ્લેબના સ્ટ્રક્ચરને અપનાવવામાં આવે તો ભારત ગ્લોબલ માપદંડોની નજીક પહોંચી શકે છે. જાણકારોનું કહેવું છે કે જીએસટી રેવન્યૂમાં સતત વધારાથી દરોને સરળ કરવાની જરૂર પડી છે. 

વર્ષ 2024-25માં કુલ જીએસટી રેવન્યૂ 9 ટકાથી વધીને 22,08,861 કરોડ રૂપિયા થઈ ગઈ. 2023-24માં 20,18,249 કરોડ રૂપિયા હતી. હાલના ફાઈનાન્શિયલ યરમાં એપ્રિલ 2025માં રેકોર્ડ 2,36,716 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. મે 2025માં પણ 2,01,050 કરોડ રૂપિયા રેવન્યૂ આવી. જે  અત્યાર સુધીનું ત્રીજું સૌથી મોટું કલેક્શન છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025