• શુક્રવાર, 11 જુલાઈ, 2025

સુરતમાં શ્રીનાથજી જ્વેલર્સના માલિકની હત્યા બાદ લૂંટ

ઘટના સમયે સ્થાનિકોએ એક લુટારુને પકડી માર મારતા હોસ્પિટલ ભેગો કરાયો

સુરત, તા.8: સુરતના સચિન રેલવે સ્ટેશનની નજીક આવેલ શ્રીનાથજી જ્વેલર્સના માલિક ઉપર ગોળીબાર કરી હત્યા કર્યા બાદ જ્વેલરીની લૂંટ કરી લુટારુઓ ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. લૂંટ અને હત્યાના વિરોધમાં તથા મૃતક જ્વેલર્સ માલિકના માનમાં સચિન રેલવેસ્ટેશન વિસ્તારના લગભગ દુકાનદારોએ દુકાન બંધ રાખવાનો નિર્ણય લઈ દુકાનો બંધ રાખી હતી. ઘટના અંગે પોલીસે લુટારુઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તેઓનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છબનાવની વિગત એવી છે કે, સચિન રેલવે સ્ટેશન ખાતે ભરાતા બજારમાં આવેલ શ્રીનાથજી જ્વેલર્સમાં ગત તા.7ની રાત્રે ચારથી પાંચ લુટારુઓ ધસી આવ્યા હતા. તેમની પાસે તમંચા જેવા ઘાતક હથિયારો પણ હતા. લુટારુ ઓ ઘરેણા લૂંટી ભાગવા જતા જ્વેલર્સના માલિક આશિષ રાજપરા અને અન્ય કર્મચારીઓએ લુટારુઓનો પ્રતિકાર કર્યો હતો. જેમાં એક લુટારુએ આશિષભાઈ ઉપર ફાયરિંગ કરી દીધું હતું.

ફાયારિંગના અવાજથી આજુબાજુના લોકો પણ દોડી આવતા લુટારુઓ ઘરેણાં લૂટી ભાગ્યા હતા. જેમાંથી એક લુટારુને લોકોએ પકડી પાડી બેફામ માર માર્યો હતો જ્યારે અન્ય લુટારુઓ ભાગવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ માલિક આશિષ રાજપરાનુ મૃત્યુ નિપજ્યું હતું.ઘટના અંગે પોલીસને જાણ કરતા ડીસીબી, પીસીબી અને સચિન પોલીસના ઉચ્ચ અધિકારી ઓ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. 6 અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે બે દિવસ પહેલાં જ બિહારથી આવ્યા હતા. તેમને સચિનની જ એક વ્યક્તિએ લૂંટ અંગેની ટીપ આપી હોવાનું સામે આવ્યું છે. ટીપ આપનાર હોજીવાલા એસ્ટેટમાં ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. આ ઘટના બાદ સચિન રેલવે સ્ટેશન બજારના દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસે પણ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક