• શનિવાર, 27 જુલાઈ, 2024

અમીન સાયાણીની વિદાય : રેડિયો મૌન

ઘરમાં રેડિયો રાખવા માટે પણ લાયસન્સ મેળવવું પડતું હતું એ સમયની વાત છે. દેશમાં કટોકટી લાગી તેની આસપાસનાં સમયમાં જો કોઈનાં ઘરે રેડિયો ખરીદવામાં આવે તો તે વૈભવની નિશાની લાગતી હતી. એક સમયે જેવી રીતે શેરીમાં કોઈ ઘરમાં ટીવી હોય તો લોકો ટોળે વળતા એમ જ રેડિયો સાંભળવા માટે પણ લોકો ઘેરી વળતા હતાં. એ સમયમાં એક સ્ટેશન એવું હતું જેને રેડિયોમાં પકડી લેવામાં આવે તો ફિલ્મી ગીતોથી માહોલ પ્રફુલ્લિત થઈ જતો.  રેડિયોનું સ્ટેશન પકડવાનું ચકરડું સેટ કરીને જેણે રેડિયો સીલોનનાં સિગ્નલ ઝડપી લેવાની સાધના કરી લીધી હોય તેનાં જ કબ્જામાં રેડિયો રહેતો! જે દિવસે તેનાં કાર્યક્રમની પહેલી લાઈન ‘નમસ્કાર ભાઈઓ ઔર બહેનો, મૈં આપકા દોસ્ત અમીન સાયાની બોલ રહા હું!’ સાંભળવા મળી જાય ત્યારે એવું લાગતું જાણે આપણે અર્જુનની જેમ નીચે પાણીમાં જોઈને ઉપર ચક્રમાં ફરતી માછલીની આંખ વીંધી નાખી હોય! આવો જ કંઈક અનુભવ રહેતો રેડિયો સીલોન સ્ટેશનને ફિલિપ્સનાં રેડિયોમાં પકડી લેવાની ઘટના.  બિનાકા ગીતમાલા સાંભળવાનો અનુભવ જેમણે પણ માણ્યો છે તે સમજી શકશે કે ભારતીય સિનેમાની સફળતમ ફિલ્મો ‘શોલે’ કે ‘િદલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ સિનેમાહોલમાં બેસીને માણવા જેટલો જ રોચક અનુભવ તે રહેતો. ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, ક્રિકેટનાં મેદાનમાં સચિન તેંડુલકર કે વિરાટ કોહલીની જે લોકપ્રિયતા છે તેવી જ લોકપ્રિયતા હતી રેડિયો ઉદ્ઘોષક અમીન સાયાણીની. જેમણે પણ તેમનાં કાર્યક્રમ સાંભળ્યા છે તેમને અમીન સાયાણી નામ સાંભળતા જ કાનમાં તેમનો અવાજ નિ:સંશય ગુંજી ઉઠતો હશે. મૂળ કચ્છી ખોજા અમીન જાનમોહમ્મદ સાયાણીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના રોજ  મુંબઈમાં થયો હતો. એમને રેડિયોજગતમાં લાવનાર હતા એમના મોટા ભાઈ હમીદ સાયાણી. તેઓ પણ અવ્વલ દરજ્જાનાં રેડિયોનાં અંગ્રેજી એનાઉન્સર હતાં. બોર્નવીટા ક્વિઝ કોન્ટેસ્ટ પ્રોગ્રામ એમણે જ શરૂ કરેલો અને 1975માં એમનું અકાળે નિધન થતાં નાના ભાઈ અમીનને એ કાર્યક્રમ સંભાળવાનો આવ્યો હતો. સતત 41 વર્ષ ચાલેલો અસીમ, અકલ્પનીય લોકપ્રિયતા વરેલો એક કલાકનો રેડિયો કાર્યક્રમ બિનાકા ગીતમાલા 2001માં વિવિધ ભારતી પરથી સિબાકા ગીતમાલા નામે ફરી શરૂ થયેલો. આ ગીતમાલાની  લોકપ્રિયતા એટલી હતી કે તે સમયે ફિલ્મ સંગીતકારનાં મહેનતાણાં પણ ગીતમાલા પર ગીતની લોકપ્રિયતાનાં આધારે નક્કી થતા હતાં. એ અરસામાં અનેક નાનાંમોટાં શહેરના બગીચામાંનાં લાઉડસ્પીકર પર ગીતમાલા કાર્યક્રમ વહેતો. 1960ના અરસામાં ગીતમાલાનાં 20 કરોડથી વધુ શ્રોતા હોવાનું અનુમાન છે. કારણ કે ફક્ત ભારત જ નહીં બલ્કે પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકાથી માંડીને આરબ દેશોથી અને આફ્રિકાના પૂર્વ કાંઠા સુધી ગીતમાલાનાં ધ્વનિમોજાં રેલાતા હતાં. રેડિયો ખરીદનાર ગ્રાહકની પ્રથમ શરત એ રહેતી કે તેમાં રેડિયો સિલોન પકડાવું જોઈએ. દેશમાં ટીવીના આગમન બાદ અમીન સાયાણીએ દૂરદર્શન માટે પણ અનેક કાર્યક્રમ કર્યા હતાં. એક સમયે રેડિયો લુપ્ત થવાની કગારે પહોંચી ગયો હતો. જેને એફએમથી નવજીવન તો મળ્યું છે પણ અમીન સાયાણીની વિદાયથી રેડિયો કાયમ માટે મૂંગો થઈ ગયો હોય તેવો સૂનકાર લાગે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક