• શુક્રવાર, 01 મે, 2026

અમેરિકા સામે ઇરાનની યુનોમાં રાવ

જહાજો જપ્ત કરી, સમુદ્રી લૂંટનો આરોપ : ટ્રમ્પની ધમકી પોકળ, ઈરાન પાછળ નહીં હટે

તેહરાન, તા. 29 : ઇરાને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ઇરાને કહ્યું હતું કે, અમેરિકાએ તેનાં જહાજો જપ્ત કરીને સમુદ્રી લૂંટ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ઇરાનના રાજદૂત અમીર સઇદ ઇરાવાનીએ કહ્યું હતું કે, અમેરિકાએ મેજેસ્ટિક અને ટિફની નામે જહાજોને જપ્ત કરી લીધાં હતાં. સાથે 38 લાખ બેરલ ઇરાની તેલ પણ જપ્ત કર્યું હતું.

ઇરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના નાયબ વડા અલાઉદ્દીન બોરૂજેદીએ કહ્યું હતું કે, દેશ પાસે ઘણા વર્ષો સુધી યુદ્ધ જારી રાખી શકે તેટલો મિસાઇલ અને ડ્રોનનો ભંડાર છે.

તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને પોકળ લેખાવતાં કહ્યું હતું કે, ઇરાન પીછેહઠ નહીં કરે અને સંઘર્ષ જારી રહેશે.

ઇરાની નેતાએ એવો દાવો કર્યો હતો કે, સમુદ્રી નાકાબંદી અસરકારક નથી અને તેને આંતરરાષ્ટ્રીય સમર્થન પણ નથી મળ્યું.

હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનનું જ નિયંત્રણ રહેશે. ઇરાન તેનો કબજો કદી નહીં છોડે, તેવું અલાઉદ્દીને જણાવ્યું હતું.

દરમ્યાન, પાકિસ્તાન ફરી અમેરિકા અને ઇરાનને વાતચીત માટે સાથે લાવવા મથી રહ્યું છે. ઇસ્લામાબાદમાં જલ્દી શાંતિવાર્તા યોજાઇ શકે છે તેવા અહેવાલ મળ્યા છે.

-----------

હોર્મુઝમાં જહાજો ઉપર હુમલાની નિંદા કરતું ભારત

સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે હોર્મુઝમાંથી મુક્ત માલ પરિવહનની માગ ઉઠાવી

નવી દિલ્હી, તા.29: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોમર્શિયલ જહાજો ઉપર થયેલા હુમલાની નિંદા કરીને ભારતે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફરીથી મુક્ત જહાજ વહનની માગણી કરી છે.

ભારતનાં ઉપસ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે સંયુક્તરાષ્ટ્રની સુરક્ષા પરિષદને કહ્યું હતું કે, વાણિજ્યિક જહાજોને સૈન્ય હુમલામાં નિશાન બનાવવા ન જોઈએ અને આવા કોઈપણ પ્રયાસ અયોગ્ય અને નિંદનીય છે.

યોજના પટેલે કોઈ દેશનાં નામનો ઉલ્લેખ તો નહોતો કર્યો પણ ઈરાન બાજુ ઈશારો કરતાં યાદ અપાવ્યું હતું કે, ભારતે બહેરીન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને સહપ્રાયોજિત કર્યો હતો. જેમાં ખાડી દેશો ઉપર ઈરાનનાં હુમલાની આકરા શબ્દોમાં આલોચના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઈરાને ભારતીય જહાજો ઉપર પણ હુમલા કર્યા હતાં. આ ઉપરાંત અન્ય જહાજો ઉપર થયેલા હુમલાઓમાં પણ કમસેકમ 3 ભારતીય ખલાસીઓનાં મૃત્યુ નીપજ્યા હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક