અમેરિકા પોતાનાં સૈનિકોનાં મૃત્યુનો બદલો લેશે ઃ ઈરાને કહ્યું, કોઈપણ ક્રૂરતાનો જડબાતોડ જવાબ દેવાશે
નવીદિલ્હી,તા.19ઃ અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધીમાં શાંતિની વાટાઘાટો માટે થયેલી તમામ સમજૂતીઓ ભાંગી ગઈ છે અને સતત સાત દિવસથી અમેરિકાએ ઈરાનમાં ભીષણ હુમલા ચાલુ રાખ્યા છે. જેની સામે ઈરાને પણ પાડોશી ખાડી દેશોમાં અમેરિકાનાં હિતોને નિશાન બનાવીને પ્રચંડ પ્રહારો કર્યા છે. આવી જ કાર્યવાહીમાં જોર્ડનમાં ઈરાને કરેલા ભીષણ હુમલામાં બે અમેરિકી જવાનો મરાયા છે અને એક હજી લાપતા છે. સૈનિકોનાં મૃત્યુ પછી અમેરિકા હવે હુમલા વધુ તીવ્ર બનાવે તેવી પૂરી સંભાવના છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સૈનિકોનાં મૃત્યુ ઉપર દુઃખ પ્રગટ કરીને હુંકાર કર્યો હતો કે, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો તો રાખવા દેવાશે નહીં.
અમેરિકાએ હવે ઈરાનમાં સૈન્ય માળખા ઉપરાંત નાગરિક સુવિધાઓને પણ નિશાન બનાવવા માંડÎા છે. જેમાં પુલ, રોડ, વીજમથકો અને પાણીનાં પ્લાન્ટ સહિતનો સમાવેશ થાય છે. દરમિયાન ઈરાને આજે પુષ્ટિ કરી હતી કે, અમેરિકાએ દક્ષિણ-પશ્ચિમમાં નિર્માણ પામી રહેલા એક પરમાણુ વીજમથક ઉપર હુમલો કર્યો છે. જવાબમાં ઈરાને કુવૈત, બહેરીન, જોર્ડન અને સાઉદી અરબમાં અમેરિકી ઠેકાણાઓ ઉપર પ્રહારો ચાલુ રાખ્યા છે. જોર્ડનમાં અમેરિકી દૂતાવાસે પોતાનાં નાગરિકોને ખતરો ધ્યાને રાખીને એરપોર્ટ અને સીપોર્ટ નહીં જવાની ચેતવણી પણ આપી હતી.
દરમિયાન ઈરાનનાં એક ટોચનાં કમાન્ડરે અમેરિકાને ધમકી આપી હતી કે, કોઈપણ પ્રકારનું આક્રમણ કે ક્રૂરતાને નિર્ણાયક અને સજ્જડ જવાબ આપવામાં આવશે.
આ ઘટનાક્રમોનાં આધારે એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે, શાંતિ વાટાઘાટની આડમાં બન્ને પક્ષે પૂર્ણ સ્તરનાં યુદ્ધની તૈયારીઓ કરી લીધી છે અને હવે આવનારા દિવસોમાં શાંતિની કોઈ આશા દેખાતી નથી.