રેલવે દ્વારા વેઈટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન થાય તેવા યાત્રીઓની ફરિયાદ ઉકેલવા વિચારણા
નવીદિલ્હી,તા.30: રેલવે હવે કેન્સલ કરવામાં આવતી
ટિકિટ ઉપર મોટી રાહત આપવાની તૈયારીમાં છે. હાલ જો કોઈ બૂક થયેલી ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં
સામેલ હોય તો આવી ટિકિટ કેન્સલ થતાં પૂરું રિફંડ મળતું નથી. રેલવે દ્વારા કેટલાક ચાર્જ
ક્લાર્ક ફી તરીકે કાપી લેવામાં આવે છે. આ ચાર્જ વિભિન્ન વર્ગની ટિકિટ માટે 30થી 60
રૂપિયા સુધી હોય છે. આમ, યાત્રીને બેવડો માર પડે છે. એક તો તેમની ટિકિટ કન્ફર્મ નથી
થઈ હોતી અને બીજીબાજુ રિફન્ડ પણ પૂરું મળતું નથી. આવી મૂંજવણ ભરેલી સ્થિતિમાંથી લોકોને
બચાવવા માટે રેલવે હવે આ ચાર્જ સમાપ્ત કરવા વિચારી રહ્યું છે. જો આવું થાય તો વેઈટિંગ
લિસ્ટવાળી ટિકીટ કન્ફર્મ નહીં થતાં લોકોને પૂરું રિફન્ડ મળશે.
કેન્સલ થતી ટિકીટ ઉપર લાગતા ચાર્જ
વિશે પણ લાંબો સમયથી ચર્ચા થઈ રહી છે. લોકોની ફરિયાદ રહી છે કે, આખરે જે ટિકિટ તેમનાં
દ્વારા જાતે રદ કરવામાં નથી આવતી અને વેઈટિંગ લિસ્ટનાં પરિણામે કેન્સલ થાય છે તેનાં
ઉપર પણ રેલવે દ્વારા ચાર્જ શા માટે વસૂલવામાં આવે છે? હવે રેલવે સમક્ષ આ ચાર્જ ખતમ
કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.