પાક. સેના પ્રમુખની ધમકી: ભારત
હુમલો કરશે તો નિર્ણાયક જવાબ અપાશે
ઈસ્લામાબાદ, તા.29: પાકિસ્તાનનાં
સેનાપ્રમુખ જનરલ આસિમ મુનીરે ફરી એકવાર ભારત વિરોધી ઝેરની ઉલ્ટી કરી છે. તેણે કાશ્મીરને
પાકિસ્તાનનાં ગળાની નસ ગણાવી છે. ભારતને લુખ્ખી ધમકી આપતા તેમણે કહ્યું હતું કે, જો
ભારત ભવિષ્યમાં કોઈ હુમલો કરશે તો પાકિસ્તાન તેનો નિર્ણાયક જવાબ આપશે.
કરાચી સ્થિત પાકિસ્તાન નેવલ એકેડમીમાં
એક કાર્યક્રમને સંબોધતા મુનીરે કહ્યું હતું કે, પાકિસ્તાન ક્ષેત્રીય સ્થિરતાનો વાહક
દેશ છે અને તેણે દર વખતે વિના ઉશ્કેરણી ભારત તરફથી થતી આક્રમકતાનો સંયમ અને પરિપક્વતાથી
જવાબ આપ્યો છે. કાશ્મીર પાક. માટે જુગુલર વેન એટલે કે ગળાની નસ છે અને હંમેશા રહેશે.
તેને પાકિસ્તાન ક્યારેય ભૂલશે નહીં. પાકિસ્તાન સંયુક્તરાષ્ટ્રનાં પ્રસ્તાવો અને કાશ્મીરી
જનતાની આકાંક્ષાઓ અનુરૂપ કાશ્મીર મુદ્દાનાં ન્યાયપૂર્ણ સમાધાન માટે અવાજ ઉઠાવતું જ
રહેશે. ભારતે વિના ઉશ્કેરણી બે વખત પાકિસ્તાન પર હુમલા કર્યા હોવાનો આરોપ પાકના આર્મી
વડા આસીફ મુનીરે લગાવ્યો હતો અને શાંતિ જાળવી રાખવા માટે જવાબદાર દેશ કોઈ હોય તો પાકિસ્તાન
છે તેમ પણ જણાવ્યું હતું.
એક મીડિયા હેવાલ મુજબ, પાકિસ્તાનની
નૌસેના એકેડેમીમાં ભાષણ આપતાં મુનીર કહ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ભારતે પાકિસ્તા
વિરુદ્ધ બે વખત વિના ઉશ્કેરણી હુમલા કર્યા, પણ પાકિસ્તાને બંને વખત સંયમ અને પરિપક્વતાનો
પરિચય આપ્યો તથા ક્ષેત્રીય સુરક્ષા પ્રત્યે પોતાની જવાબદારી બતાવી શાંતિ જાળવવાવાળા
જવાબદાર દેશ તરીકે વર્તન કર્યું તેમ જણાવ્યું હતું.
----------------
વજીરિસ્તાનમાં હુમલાનો આરોપ ભારત
ઉપર મૂકવા નાપાક પ્રયાસ
વિદેશ મંત્રાલયે કહ્યું, આ જૂઠાણાથી
ધ્યાન ફંટાવવાની કોશિશ
નવીદિલ્હી, તા.29: પાકિસ્તાન
ભારતને બદનામ કરવાની પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. પાકિસ્તાનનાં વજીરિસ્તાનમાં
થયેલા આતંકવાદી હુમલાનો ખોટો આરોપ ભારત ઉપર થોપવાની કોશિશ કરવામાં આવી છે પણ ભારતનાં
વિદેશ મંત્રાલયે તેને સજ્જડ જવાબ પણ આપી દીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,
ભારત ઉપર આવો પાયાવિહોણો આરોપ લગાડવો પાક.ની ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.