હવે નેપાળ અને શ્રીલંકાનાં નાગરિકોને પણ ભારત ઈરાનથી પરત લાવશે
નવી
દિલ્હી, તા.21: ઈરાન અને ઈઝરાયલ ઘર્ષણ વચ્ચે ભારતે પોતાનાં નાગરિકોને સલામત પરત લાવવા
માટે ઓપરેશન સિંધુ શરૂ કરેલું છે. આ અભિયાન અંતર્ગત હવે નેપાળ અને શ્રીલંકાનાં નાગરિકોને
પણ બહાર કાઢવામાં આવશે. આ જાણકારી તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી આપવામાં આવી છે.
નેપાળ અને શ્રીલંકાની સરકારોનાં અનુરોધ ઉપર હવે તેનાં નાગરિકોને પણ પરત લાવવાની કામગીરી
ભારત તરફથી કરવામાં આવશે.
આ પહેલા
ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં
310 ભારતીય નાગરિકો ઈરાનથી ભારત સુરક્ષિત લાવવામાં આવ્યા છે. જ્યારે કુલ મળીને 827ને
ઉગારી લેવાયા છે. તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાતથી એક વિશેષ વિમાન શુક્રવારની મોડી
રાતે 3 વાગ્યે દિલ્હી પહોંચ્યું હતું. જેમાં ઈરાનમાંથી લાવવામાં આવેલા ભારતીય નાગરિકો
હતાં. ઉલ્લેખનીય છે કે, ઈરાને એક વિશેષ સવલતમાં પોતાનાં શહેર મશહદથી આશરે એકાદ હજાર
જેટલા ભારતીય નાગરિકો અને છાત્રોને નીકળવા માટે ત્રણ વિશેષ વિમાન માટે હવાઈક્ષેત્ર
ઉપરથી પ્રતિબંધ પણ હટાવ્યો છે.