અજાણ્યા લોકોની ગાડીઓ પોલીસે
લેવા જવા પડી
મોરબી, તા.29: મોરબી શહેરના ખાટકી
વાસ નજીક રવિવારે બપોરના સમયે બે કારમાં આવેલા અજાણ્યા લોકો સાથે ખાટકીવાસના સ્થાનિક
લોકો સાથે માથાકૂટ થતા બન્ને વાહનો મૂકી અજાણ્યા લોકો જતા રહ્યા હતા. બાદમાં પોલીસ
બનાવ સ્થળેથી વાહનો લેવા ગઇ હતી.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો
મુજબ, રવિવારે બપોરના સમયે બે કારમાં કેટલાક યુવાનો મોરબીના ખાટકીવાસ પાસે ગયા હતા
જ્યાં કતલખાને આવતા પશુઓ બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા લોકોના ટોળા એકત્રિત થઈ
જતા હાથાપાઈમાં બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી. આ ઝઘડા બાદ ખાટકીવાસના લોકો એકત્રિત થઈ
જતા સામાપક્ષના લોકો પોતાની ગાડીઓ મૂકી જતા રહ્યા હતા.
બીજી તરફ બનાવ અંગે મોરબી પોલીસને
જાણ થતાં જ પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસ ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને રેઢા
પડેલા વાહનો પોલીસ મથકે લઈ જવા કાર્યવાહી શરૂ કરતા લોકોના ટોળા એકત્રિત થઇ વાહનો પહેલા ચેક કરી પછી જ અહીંથી લઇ જવા માંગ કરી હતી. જો કે, મુસ્લિમ સમાજના ધર્મગુરુએ
દરમિયાનગીરી કરતા મામલો થાળે પડયો હોવાનું સામે આવ્યું છે. આ માથાકુટમાં બંને જુથના
બે મહિલા સહિત પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં બન્ને પક્ષની સામસામી ફરિયાદ
નોંધવા માટે કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે.