• મંગળવાર, 08 જુલાઈ, 2025

બ્રિક્સ દેશોને ટ્રમ્પની ટેરિફની ધમકી

ભારત જેનો હિસ્સો છે તેવા સમૂહ બ્રિક્સનું નામ લઈને ટ્રમ્પે કહ્યું, તેની અમેરિકા વિરોધી નીતિનો કોઈ ભાગ બનશે તો 10 ટકા વધારાનો ટેરિફ ઝીંકીશ

 

નવીદિલ્હી, તા.7: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીની શક્યતાઓ ઓસરતી જાય છે ત્યારે બીજીબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ટેરિફ લાદવા ધમકી ઉપર ઉતરી આવ્યા છે. ટ્રમ્પે હવે કહ્યું છે કે, બ્રિક્સ સમૂહની નીતિ સાથે જોડાતા કોઈપણ દેશો ઉપર 10 ટકા અતિરિક્ત ટેરિફ નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત પણ બ્રિક્સનો હિસ્સો છે અને વડાપ્રધાન મોદીએ હાલમાં જ બ્રાઝિલમાં બ્રિક્સ સંમેલનમાં હાજરી આપી છે.

ટ્રમ્પે પોતાનાં સોશિયલ મીડિયા ટ્રૂથ ઉપર લખ્યું હતું કે, કોઈપણ દેશ બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓ સાથે જશે તેનાં ઉપર વધારાનો 10 ટકા ટેરિફ ઝીંકાશે. આ નીતિમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. ટ્રમ્પે અંતે લખ્યું હતું કે, આ બાબતે ધ્યાન આપવા બધાનો ધન્યવાદ.

ટ્રમ્પની આ ચિમકી ભારત માટે ગર્ભિત ધમકીથી જરાય ઓછી નથી. એકબાજુ ભારત અને અમેરિકા વચ્ચે નવા ટેરિફની અમલવારી  પહેલા વચ્ચેનો રસ્તો કાઢવા વેપાર સમજૂતીની વાટાઘાટો ચાલી રહી છે ત્યારે બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ પરિષદમાં હાજરી આપી રહ્યાં છે. જે ટ્રમ્પને ખૂંચ્યું હોઈ શકે છે. અમેરિકા ભારતનાં કૃષિ અને ડેરી ઉદ્યોગમાં પ્રવેશ માગી રહ્યું છે. જેનાં માટે ભારતે સાફ શબ્દોમાં ઈનકાર કરી દીધો છે ત્યારે હવે બન્ને દેશ વચ્ચે કોઈપણ પ્રકારની વેપાર ભાગીદારી કરવી અમેરિકાનાં હાથમાં છે.

ઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલે અમેરિકાએ ભારતીય વસ્તુઓ ઉપર 26 ટકા ટેરિફ લાદ્યો હતો પણ પછી તેને 90 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવેલું. જો કે અમેરિકા તરફથી લગાડવામાં આવેલો વધારાનો 10 ટકા શુલ્ક વર્તમાનમાં પણ લાગુ જ છે. ભારત અમેરિકાનાં 26 ટકા ટેરિફમાંથી પૂરેપૂરી મુક્તિ માગી રહ્યું છે. જો બન્ને દેશ વચ્ચે અટકી પડેલી વાટાઘાટમાં કોઈ ટ્રેડ ડીલને આખરી ઓપ નહીં મળે તો ભારત ઉપર ફરીથી 26 ટકા ટેરિફ લાગુ થઈ જશે.

 

પહલગામ હુમલો પૂરી માનવતા ઉપર આઘાત : બ્રિક્સમાં મોદી

 

નવી દિલ્હી, તા. 7 : બ્રાઝીલ શહેરના રિયો ડી જેનેરિયોમાં બ્રિક્સ દેશોનું શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ નેતાઓએ એક ઘોષણાપત્ર જારી કરીને સીમાપાર આતંકવાદની આકરી નિંદા કરી હતી. તેમજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંધાધૂંધ ટેરિફ અને ઈરાન ઉપર ઈઝરાયલી-અમેરિકી હુમલા ઉપર નિશાન સાધવામાં આવ્યું છે. બ્રિક્સ સંમેલનમાં પોતાની વાત રજૂ કરતા પીએમ મોદીએ પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો માત્ર ભારત જ નહીં પણ પૂરી માનવતા માટે એક આઘાત સમાન છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, બ્રિક્સના મંચથી સંગઠનના સભ્યોને સંબોધિત કરતા સંપૂર્ણ વિશ્વને સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિક્સ દેશોએ આતંકવાદ મુદ્દે સ્પષ્ટ અને એકીકૃત વલણ અપનાવવાની જરૂરીયાત છે. આતંકવાદ જેવા વિષય ઉપર બેવડા માપદંડને કોઈ જગ્યા નથી. જો કોઈ દેશ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે આતંકવાદનું સમર્થન કરે તો તેણે કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ.

પીએમની બ્રાઝિલ યાત્રા ઉપર વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફમાં સચિવ દામુ રવિએ કહ્યું હતું કે પીએમ મોદીએ બ્રિક્સમાં કહ્યું હતું કે 20મી સદીના વૈશ્વિક સંગઠનોમાં 21મી સદીના પડકારોનો  સામનો કરવાની ક્ષમતાનો અભાવ છે. વૈશ્વિક સંસ્થાઓ ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, આઈએમએફ, વિશ્વ બેંક અને ડબલ્યુટીઓમાં સુધારો જરૂરી છે.

બ્રિક્સના ઘોષણા પત્રમાં પાકિસ્તાનનું સીધું નામ લેવામાં આવ્યું નથી પણ પોલ ખોલવામાં કંઈ છોડાયું પણ નથી. રિયો ડી જેનેરિયો ઘોષણાપત્રમાં બ્રિક્સ નેતાઓએ પહલગામ આતંકી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આતંકવાદીના સીમા પાર આંદોલન, આતંકવાદને આર્થિક મદદ અને તેને સુરક્ષા આપનારાઓ સામે મુકાબલો કરવા આહવાન કર્યું હતું.

ઘોષણા પત્રમાં ટેરિફ મુદ્દે ટ્રમ્પનું નામ લીધા વિના આલોચના થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બ્રિક્સ સભ્યોએ ટેરિફમાં એકતરફી વૃદ્ધિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ટેરિફથી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને નુકસાન પહોંચવાનું જોખમ છે.

બ્રિક્સે ઈઝરાયલ અને અમેરિકા દ્વારા પરમાણુ અને અન્ય ટાર્ગેટ ઉપર ઈરાનમાં કરેલા હુમલાની નિંદા કરી હતી અને ઈરાનને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના બ્રિકસ શિખર સંમેલનમાં ઝિનપિંગ ગેરહાજર રહ્યા હતા. ઝિનપિંગ પોતાના 12 વર્ષના કાર્યકાળમાં પહેલી વખત બેઠકમાં સામેલ થયા હતા. બીજી તરફ પુતિને પણ બેઠકમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો જો કે વીડિયો લિંક મારફતે જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વિંછિયાના મોટા માત્રા ગામની સીમમાં બનેલો બનાવ જૂની અદાવતમાં પરિવાર ઉપર ટોળાનો રિવોલ્વર બતાવી તલવાર-કુહાડીથી હુમલો July 08, Tue, 2025