ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, રોકડ ક્યાંથી આવી ?; મૂળ સુધી જવું જરૂરી
નવી
દિલ્હી, તા. 7 : દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘેરથી અર્ધી બળેલી ચલણી
નોટના મામલે તુરંત જ એફઆરઆઇ નોંધવાની જરૂર હોવાનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું
હતું. તેમણે કહ્યું કે, આ બાબત માત્ર ચિંતાજનક જ નહીં, આપણી ન્યાયપાલિકા માટે ચોંકાવનારી
હોવાથી તેના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. રોકડ ક્યાંથી આવી તે જાણવું અત્યંત જરૂરી
છે.
ધનખડે
કહ્યું કે, કેન્દ્ર સરકાર આ મામલે લાચાર છે, કેમ કે ’90ના દશકના આરંભે સુપ્રીમ કોર્ટના
આદેશના કારણે જસ્ટિસ પર એફઆઇઆર નોંધી શકાતી નથી. ઉપરાષ્ટ્રપતિએ આજે નેશનલ એડવાન્સ્ડ
લીગલ સ્ટડીઝ યુનિવર્સિટીના સેમિનારમાં આ ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય
છે કે, આ વર્ષે 14મી માર્ચે જસ્ટિસ વર્માના નિવાસે આગ લાગ્યા બાદ તેમના નિવાસના સ્ટોર
રૂમમાંથી 500-500 રૂપિયાના બળી ગયેલા નોટના બંડલ ભરેલા થેલા મળી આવતાં ચકચાર મચી હતી.
ધનખડે કહ્યું કે, તેઓ ન્યાયપાલિકાની સ્વતંત્રતાનું સમર્થન કરે છે. ન્યાયાધીશોને સલામતી
આપવી જરૂરી છે. કેમ કે, તેઓ જટિલ પરિસ્થિતિમાં કામ કરે છે, પરંતુ જ્યારે આ પ્રકારની
ઘટનાઓ સામે આવતી હોય ત્યારે આપણે સત્યનો સામનો કરવો પડશે એમ તેમણે જણાવ્યું હતું.