બેંગ્લુરુના બેટર્સ પર અંકુશ મૂકવાનો લખનઉના બોલર્સ સામે પડકાર
બેંગ્લુરુ,
તા.14 : વર્તમાન ચેમ્પિયન અને 2026 આઇપીએલ સીઝનમાં શાનદાર દેખાવ કરી રહેલ ટીમ રોયલ
ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સની બુધવારે ટક્કર થશે ત્યારે આરસીબીના
ફોર્મ પર લગામ મૂકવા માટે એલએસજીના બોલર્સ-બેટર્સ સામે મોટો પડકાર બની રહેશે. ઋષભ પંતની
ટીમ વર્તમાન સીઝનમાં પણ ફોર્મ હાંસલ કરવા સંઘર્ષ કરી રહી છે. આરસીબી હાલ 6 અંક સાથે
પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. અન્ય ચાર ટીમ 4-4 અંક સાથે તેનો પીછો કરી રહી છે.
આરસીબી ટોચની ટીમ રાજસ્થાનથી બે અંક અને બીજા નંબરની ટીમ પંજાબથી 1 અંક પાછળ છે. જો
કે સચ્ચાઇ એ છે કે આરસીબીના બેટર્સે આઇપીએલનાં આ સત્રમાં બોલરોના મનમાં જે ખોફ પેદા
કર્યો છે તે અન્ય કોઇ ટીમ કરી શકી નથી.
આરસીબીના
બેટધરો વિરાટ કોહલી અને કપ્તાન રજત પાટીદારની આગેવાનીમાં એકસંપ બની દેખાવ કરી રહ્યા
છે. તમામ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આરસીબીની સફળતાનું રાજ સ્ટ્રાઇક રેટ છે.
વિરાટ કોહલીની સ્ટ્રાઇક રેટ 162, ફિલ સોલ્ટની 178, રજત પાટીદારની 214, ટિમ ડેવિડની
221 અને દેવદત્ત પડીક્કલની 201 સ્ટ્રાઇક રેટ છે. આ પાંચેય બેટર્સ બાકીની તમામ ટીમના
બોલર્સ પર ભારે પડી રહ્યા છે. આ મેચ આરસીબીના
હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી પર રમાશે. જેના પર આરસીબીને હાર આપવી એલએસજી માટે ચુનૌતિ
બની રહેશે. આ માટે પંતની ટીમે સીઝનનો તેમનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. ખાસ કરીને
કપ્તાન ઋષભ પંત અને કેરેબિયન પાવર હિટર નિકોલસ પૂરને.