• શનિવાર, 27 જુલાઈ, 2024

રેલવે ટ્રેકની બાજુમાં સિંહ બેઠેલા હતા, ગૂડ્સ ટ્રેન રોકીને સાવજનો જીવ બચાવ્યો

સાવરકુંડલા-ગાધકડા રેલવે સેક્શન વચ્ચે બનેલી ઘટના, લોકો પાયલોટે ઇમર્જન્સી બ્રેક લગાવી ટ્રેન થોભાવી

બોટાદ, તા. 20 : ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટ (એન્જિન ડ્રાઇવર)એ ટ્રેન રોકીને સિંહનો જીવ બચાવ્યો હતો.

ભાવનગર રેલવે મંડલ સાવજ અને વન્યજીવોનાં સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડલના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.

 ગત તારીખ 17 મેના રોજ લોકો પાયલોટ મહેશ બલોલિયા (મુખ્યાલય - બોટાદ) ગૂડ્સ ટ્રેન પર કામ કરતી વખતે, લગભગ 5-00 વાગ્યે સવારે, સાવરકુંડલા-ગાધકડા સેક્શન વચ્ચે રેલવે ટ્રેકની બાજુમાં સિંહને બેઠેલા જોયા અને ઇમરજન્સી બ્રેક લગાવીને ગૂડ્સ ટ્રેનને રોકીને સિંહનો જીવ બચાવ્યો હતો. સિંહ પાટા પર કે ટ્રેનની નીચે ન પડે તે માટે ટ્રેનને ત્યાં રોકી દેવામાં આવી હતી અને ફોરેસ્ટ ગાર્ડના આગમન બાદ તેની પરવાનગી લઈને ટ્રેન રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેન લગભગ 50 મિનિટ મોડી પડી હતી.

 ઘટના અંગેની માહિતી લોકો પાયલોટે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલ અને સ્ટેશન માસ્તર ગાધકડાને આપી હતી. આ સંદર્ભે ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર દ્વારા લોકો પાયલોટ મહેશ બલોલિયાને તેમના પ્રશંસનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક