• બુધવાર, 22 જુલાઈ, 2026

કુદરતનો કહેર ઃ આસામ, નાગાલેન્ડમાં પૂર, કુલ 20નાં મૃત્યુ

- આસામનાં 11 જિલ્લામાં 3.6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, 9 હજાર લોકોને ખસેડાયા

 

નવીદિલ્હી, તા.21 દેશના અનેક રાજ્યોમાં સતત ભારે વરસાદે વિનાશ સર્જ્યો છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પૂર્વોત્તર રાજ્યો તેમજ પર્વતીય વિસ્તારોમાં પ્રકૃતિનો કહેર જોવા મળી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. મંગળવારે વધુ એક વ્યક્તિના મોત બાદ રાજ્યમાં પૂરનાં કારણે મૃત્યુઆંક વધીને 11 થયો છે. બીજી તરફ, નાગાલેન્ડનાં મોન જિલ્લામાં સતત વરસાદને કારણે આવેલાં અચાનક પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 9 થયો છે. હજુ પણ ચાર લોકો લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ છે.

આસામના 11 જિલ્લાઓમાં આવેલા વિનાશક પૂરનાં કારણે 3.60 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. બ્રહ્મપુત્ર, ડિકોહ, દેસાંગ અને ધનસિરી સહિતની અનેક મુખ્ય નદીઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોખમી સપાટીથી ઉપર વહી રહી છે જ્યારે કેટલાક જળાશયોમાં પાણીનું સ્તર પૂરના સર્વોચ્ચ સ્તરથી પણ ઉપર પહોંચી ગયું છે. આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધનાં ધોરણે ચાલી રહી છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફ, અગ્નિશામક અને ઇમરજન્સી સેવાઓ સહિત અનેક એજન્સીઓ બચાવ કાર્યમાં જોડાઈ છે.

વિશ્વનાથ, ચરાઈદેવ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કાર્બી આંગલોંગ, નગાંવ, શિવસાગર અને તિન્સુકિયા જિલ્લાનાં 758 ગામોમાં 3,10,800થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. બચાવ દળોએ બોટની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 9,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડÎ છે. પૂરનાં કારણે આસામમાં રેલ વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો છે. ઉપર આસામના અનેક વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં મંગળવારે સતત બીજા દિવસે પણ ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહ્યું હતું. હાલ રાજ્યમાં 52 રાહત શિબિરો કાર્યરત છે, જ્યાં 12,720 વિસ્થાપિત લોકો આશ્રય લઈ રહ્યા છે. પૂરના કારણે અંદાજે 14,411.267 હેક્ટર ખેતીલાયક જમીન પણ પાણીમાં ડૂબી ગઈ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક