મૃતકની પત્ની રિસામણે બેઠી હોવાથી તેના સાઢુભાઈ અને તેના બે પુત્રએ હુમલો કર્યો
જામનગર,
તા.31: જામનગરમાં ગોકુલ નગર પાણા ખાણ વિસ્તારમાં રહેતા રોહિત દિલાભાઈ પરમાર ઉંમર
32 વર્ષના યુવાનનું તેના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પુરબિયા અને તેના બે પુત્ર સુજલ અને
વિમલ એ બોલાચાલી કર્યા બાદ હુમલો કરી હત્યા કરી હતી.
રોહિતની
પત્ની તેજલ કે જે રિસામણે બેઠી હતી અને તેના માવતરે રાજકોટના મેટોડા ચાલી ગઈ હતી, જે
બાબતે બોલાચાલી થઇ હતી. ઉગ્ર ઝઘડો થયા બાદ નરેશ અને તેના બે પુત્રે રોહિત ઉપર છરી અને
લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો અને ત્યાંથી ભાગી છુટયા હતા. જે બાદ રોહિતને સારવાર
માટે જામનગરને જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ
નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા અને સીટી સી. ડિવિઝનનો
પોલીસ સ્ટાફ બનાવવાના સ્થળે અને ત્યાર બાદ
હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. પોલીસે મૃતક રોહિતના પિતા દિલાભાઈ વીરાભાઇ પરમારની
ફરિયાદના આધારે તેના પુત્રની હત્યા નીપજાવનાર નરેશ તુલસીભાઈ પુરબીયા અને તેના બે પુત્ર
સુજલ અને વિમલ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. તેમજ ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
આ હત્યાના બનાવને લઈને શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.