• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

ધૌલીગંગા પરિયોજના પર ભૂસ્ખલન : 19 ફસાયા

કાટમાળથી સામાન્ય અને કટોકટી સમયની સુરંગોનો માર્ગ બંધ: બચાવકાર્ય જારી

નવી દિલ્હી,  તા.31 : ઉત્તર ભારતમાં જારી કુદરતના પ્રકોપ વચ્ચે ઉત્તરાખંડમાં પિથૌરાગઢમાં ધૌલીગંગા વીજળી પરિયોજનાની  સામાન્ય અને કટોકટીના સમય માટેની સુરંગોમાં અચાનક થયેલા ભૂસ્ખલનમાં એનએચપીસીના 19 કર્મચારી ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે પાવર હાઉસનો રસ્તો બંધ થઈ ગયો છે.

ધારચૂલાના ઉપ-જિલ્લાધિકારી જિતેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન થવાને કારણે મોટા પ્રમાણમાં કાટમાળ જમા થઈ ગયો છે. આ કાટમાળને હટાવવા માટે મશીનોને કામે લગાવવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું કે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (એનએચપીસી)ના 19 કર્મચારી  ફસાયા હતા. ધારચૂલાની પાસે ઈલાગઢ ક્ષેત્રમાં ધૌલીગંગા વીજળી પરિયોજનાની સામાન્ય અને કટોકટી સમય માટેની સુરંગની તરફ જવાનો રસ્તો કાટમાળથી બંધ થઈ ગયો હતો. કાટમાળ હજુ પણ પડી રહ્યો છે અને તે વચ્ચે સીમા સડક સંગઠનની જેસીબી મશીનો માર્ગ સાફ કરવામાં લાગી છે.

વર્માએ કહ્યું કે તમામ કર્મચારી સુરક્ષિત છે. આ કર્મચારીઓ વીજળીઘરનો રસ્તો ખૂલ્યા બાદ બહાર આવી જશે. વિદ્યુત પરિયોજનાથી વીજળી ઉત્પાદનનું કામ સામાન્ય રુપથી ચાલુ છે. ભૂસ્ખલનની આ ઘટના ધૌલીગંગા પાવર સ્ટેશનના આગળના ભાગે થઈ છે અને તેથી ડરવાની કોઈ વાત ન હોવાનું પણ આ અધિકારીએ જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક