• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

ચીનની ચાલ, વિશેષ ખાતરની નિકાસ ઉપર મૂકશે પ્રતિબંધ

ભારતનાં કિસાનો માટે ચિંતાનો વિષય : ખાતર મોંઘા થવાની સંભાવના

નવી દિલ્હી, તા.31: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની યાત્રાએ છે અને ભારત-ચીનનાં સંબંધો માટે આ પ્રવાસને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ચીને એક મોટો ખેલ કરી નાખ્યો છે. જે ભારત માટે ચિંતાજનક છે. ચીને ઓક્ટોબરથી વિશેષ ખાતરોની નિકાસ ઉપર ફરીથી રોક મૂકવાનું નક્કી કર્યું છે. જેની સીધી અસર કિસાનો ઉપર પડશે. આ વિશે સોલ્યુબલ ફર્ટિલાઈઝર ઈન્ડસ્ટ્રી એસોસિયેશન(એસએફઆઈએનાં એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

થોડા વખત પહેલા જ ચીને વિશેષ ખાતરોની નિકાસ ફરીથી શરૂ કરેલી અને તેનાં હિસાબે કિસાનોને થોડી રાહત મળી હતી. જો કે હવે આ રાહત વધુ લાંબો સમય ટકે તેવું લાગતું નથી કારણ કે આવતા માસથી ફરી ચીન તેની નિકાસ અટકાવવા જઈ રહ્યું છે. એસએફઆઈએનાં અધ્યક્ષ રાજીવ ચર્કવર્તીએ જણાવ્યું હતું કે, આ કામચલાઉ સમાધાન છે કારણ કે ચીન ઓક્ટોબરથી તો નિકાસ ફરી અટકાવી રહ્યું છે. જો કે તે ફક્ત ભારત માટે નહીં બલ્કે આ દુનિયાનાં બજારો માટે આ નિકાસ બંધ કરવાનું છે.

બીજીબાજુ ભારતીય વિશેષ ખાતર કંપનીઓ આ એક માસની અવધિ માટે મહતમ ખાતર ખરીદવાની કોશિશમાં છે અને દુનિયાનાં અન્ય દેશોની કંપનીઓ પણ ચીનનો પ્રતિબંધ આવે તે પહેલા ખાતરનો મોટો જથ્થો એકત્ર કરી લેવા માગે છે. જો ચીન આ પ્રતિબંધ લાગુ કરે તો વિશેષ ખાતર મોંઘા થઈ શકે છે અને તેની સીધી માઠી અસરો કિસાનોને થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક