• બુધવાર, 18 જૂન, 2025

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી

જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ હવે રાજકોટના કલેક્ટર

અમદાવાદ, તા. 17: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 13 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટના કલેક્ટર પ્રભાવ જોશીની ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનાજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશને રાજકોટના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ 2036 ઓલમ્પિકની દાવેદારી માટે હાલ તૈયારી કરી રહ્યું છે અને માળખાગત સુવિધા પણ ઉભી કરવામાં આવી રહી છે ત્યારે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ તરીકે અશ્વિની કુમારને મૂકવામાં આવ્યા છે. આની સાથે સાથે તેઓ સંસદીય અને વૈધાનિક બાબતોનો પણ હવાલો સંભાળશે. જ્યારે અન્ન અને નાગરિક પુરવઠાના અગ્ર સચિવ રમેશચંદ મીનાને પણ અગ્ર સચિવ વાહન વ્યવહાર અને બંદરોનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે એમ. થેન્નારસન કે જેઓ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ હતા તેમને હવે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

મેનાજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત માલિંદ તોરવણેને હવે અગ્ર સચિવ તરીકે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ રૂરલ ડેવલપમેન્ટના કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે અને સાથે સાથે તેઓ જીએસપીસીના એમડી તરીકેનો પણ ચાર્જ સંભાળશે. મિસ આરતી કંવર નાણા વિભાગમાં હાલ આર્થિક અફેર્સનો ચાર્જ સંભાળી રહ્યા છે તેઓ વધારાનો સેક્રેટરી તરીકે નાણાં વિભાગમાં ખર્ચનો પણ ચાર્જ સંભાળશે. જેનું દેવન જે હાલ સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન તરીકે કામગીરી નિભાવી રહ્યા છે. તેમને વધારાના ચાર્જ એમડી, મધ્ય ગુજરાત વીજ કંપનીનો સોંપવામાં આવ્યો છે.

તેજસ દિલીપભાઈ પરમાર કે જેઓ એમડી, મધ્ય ગુજરાત વીજ કંપનીમાં હોદ્દો ધરાવતા હતા તેમને બદલીને હવે મ્યુનિસિપલ કમિશનર જુનાગઢ તરીકે મૂકવામાં આવ્યા છે.

આશિષકુમાર કે જેઓ પંચમહાલ ગોધરાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમને ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે આ ઉપરાંત તેમને વધારાના ચાર્જ તરીકે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી- સેંગ)નો પણ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુથાર રાજ રમેશચંદ્ર કે જેઓ ડાંગ આહવા ના ડીડીઓ હતા તેમને હવે રાજપીપળા નર્મદા ખાતે ડીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે અંકિત પન્નુ કે જેઓ નર્મદા રાજપીપળા ના ડીડીઓ હતા તેમને જામનગર ખાતે ડીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પાટીલ આનંદ અશોક કે જેઓ ડાંગ આહવાના પ્રોજેક્ટ એડમીનિસ્ટ્રેટર હતા તેઓને ડાંગ આહવાના ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક