ઈરાનનાં શીર્ષ સૈન્ય અધિકારીનું મૃત્યુ : ટ્રમ્પ G-7 માટેની યાત્રા અધવચ્ચેથી અટકાવી અમેરિકા પરત: ખામેનેઈનાં હાલ સદ્દામ જેવા કરવા ઈઝરાયલ-અમેરિકાની ધમકી
નવી
દિલ્હી, તા.17: સતત પાંચમાં દિવસે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઘાતક મિસાઈલ હુમલા ચાલુ રહ્યા
હતાં અને બન્ને દેશ ધણધણતા રહ્યા હતાં. જેમાં ઈઝરાયલે આજે ઈરાનને મોટો ઝટકો આપ્યાનો
દાવો કર્યો હતો. ઈરાનનાં સર્વોચ્ચ નેતા ખામેનેઈની નજીક ગણાતા અને ઈરાનનાં સશત્ર દળોનાં નવનિયુક્ત ચીફ ઓફ સ્ટાફ અને
સૈન્ય કમાન્ડર અલી શાદમાનીને ખતમ કરી નાખવામાં આવ્યા હોવાનું ઈઝરાયલે કહ્યું હતું.
આ ઉપરાંત ઈઝરાયલે ખામેનેઈની હાલત પણ સદ્દામ હુસેન જેવી હાલત કરવાની ધમકી પણ આપી હતી.
બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને બિનશરતી સમર્પણ માટે કહ્યું
હતું અને ધમકી પણ આપી હતી કે, ખામેનેઈ કયાં છૂપાયા છે તેની અમને જાણ છે પણ અમે હજુ
તેને મારશું નહીં.
ઈઝરાયલ
અને ઈરાનનાં મહાનગરો આજે પણ સામસામા હુમલાનાં કારણે વિસ્ફોટોથી ખળભળ્યા હતાં. જેમાં
ઈઝરાયલનાં હુમલાઓમાં ઈરાનમાં થયેલા મૃત્યુનો આંકડો વધીને 220 થઈ ગયો હતો. તો સામે પક્ષે
ઈરાનનાં હુમલાઓમાં ઈઝરાયલમાં પણ 20નાં મૃત્યુ થયા છે.
મધ્યપૂર્વની
આ તંગદિલી ચરમ ઉપર પહોંચી જતાં જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ આ યાત્રા અધવચ્ચેથી છોડીને પરત ફરી ગયા હતાં. ટ્રમ્પે કહ્યું હતું કે,
તેમનાં પ્રયાસો યુદ્ધવિરામ માટે નહીં બલ્કે આ ઘર્ષણનાં કાયમી અંત માટેનાં છે.
ઈઝરાયલની
સેના આઈડીએફે દાવો કર્યો હતો કે, સોમ અને મંગળવારની રાતે તેહરાનનાં મધ્યભાગે હુમલો
બોલાવવામાં આવ્યો હતો અને તેમાં ચીફ ઓફ સ્ટાફ શાદમાની મરાયા હતાં. ઈરાન માટે સેનાનાં
શીર્ષ અધિકારીનું મૃત્યુ યુદ્ધનાં સમયમાં એક મોટા આચકારૂપ છે.
ઈરાનનાં
હવાઈ હુમલાઓનાં પગલે આજે પણ ઈઝરાયલમાં સાયરન વાગતા રહ્યા હતાં અને તેનાં હિસાબે નાગરિકોને
બંકર સહિતનાં સલામત સ્થાનો ઉપર આશ્રય લેવાની ફરજ પડી હતી. સોમવારની રાતે ઈઝરાયલે ઈરાનની
સરકારી ટીવી ચેનલનાં વડામથક ઉપર પણ બોમ્બમારો ચલાવી દીધો હતો.
દરમિયાન
ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી(આઈએઈએ) દ્વારા આજે પુષ્ટિ કરવામાં આવી હતી કે, ઈઝરાયલનાં
હુમલામાં ઈરાનનાં પરમાણુ કેન્દ્રોને સીધુ નુકસાન થયું છે. કેનેડામાં એકત્ર થયેલા જી-7નાં
નેતાઓએ પણ બન્ને દેશ વચ્ચે વહેલીતકે શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા
બતાવી હતી. યુરોપીયન યુનિયને પણ કૂટનીતિનાં માધ્યમથી ઈરાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓને
અટકાવવાનાં પ્રયાસ થવા જોઈએ તેવું કહીને શાંતિનાં પ્રયાસો માટે આગ્રહ કર્યો હતો. જો
કે ખુલીને ઈઝરાયલને સમર્થન કરતાં કહ્યું હતું કે, ઈરાન કોઈપણ હિસાબે પરમાણુ શત્રો રાખી
શકશે નહીં.