ટોળા અને નૈતિકતાનાં તથાકથિત પહેરેદારોને રસ્તા ઉપર હંગામો કરવાની મંજૂરી આપી શકાય નહીં : સુપ્રીમ
નવી દિલ્હી, તા.17 : કર્ણાટકમાં
કમલ હાસનની ફિલ્મ ઠગ લાઈફ પ્રદર્શિત નહીં થવા મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટક રાજ્ય
સરકારને આકરી ફટકાર લગાવતા કહ્યું હતું કે, ટોળા અને નૈતિકતાનાં તથાકથિત પહેરેદારોને
રસ્તા ઉપર હંગામો કરવાની મંજૂરી આપી શકાય નહીં. આવી જ રીતે હાઈકોર્ટની ટિપ્પણીઓની પણ
સુપ્રીમ કોર્ટે સખત આલોચના કરી હતી.
જસ્ટિસ ઉજ્જલ ભુઈયા અને જસ્ટિસ
મનમોહનની પીઠે કહ્યું હતું કે, રાજ્યમાં કાયદાનું શાસન સ્થાપિત થવું જોઈએ અને લોકોને
ફિલ્મ જોતા રોકવા માટે તેમનાં લમણે બંદૂક તાણી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કર્ણાટક
સરકારને રાજ્યમાં ફિલ્મની રીલીઝ વિશે જાણકારી આપવા માટે એક દિવસનો સમય આપ્યો હતો. આ
ઉપરાંત કહ્યું હતું કે, એકવાર કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડની મંજૂરી મળી જાય તો પછી
તેને બધા રાજ્યોમાં પ્રદર્શિત કરવી જોઈએ.
અદાલતે આગળ કહ્યું હતું કે, જો
કમલ હાસને કંઈપણ અસુવિધાજનક કહ્યું હોય તો તેને અટલ સત્ય માની લઈ શકાય નહીં. કર્ણાટકનાં
પ્રબુદ્ધ લોકોએ આનાં ઉપર ચર્ચા કરીને કહેવું જોઈતું હતું કે, તે ખોટા છે.
આટલું જ નહીં કન્નડ ભાષા વિશે
કમલ હાસનની ટિપ્પણી ઉપર માની માગવા માટે હાઈકોર્ટની ટિપ્પણીઓની પણ આલોચના સુપ્રીમે
કરી હતી અને કહ્યું હતું કે, માફી મગાવવાનું કામ અદાલતનું નથી.