• બુધવાર, 18 જૂન, 2025

બે વિમાનમાં ખોટકા, એકને બોમ્બની ધમકી

મુસાફરો પરેશાન : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદથી શરૂ થયેલો ચિંતા પેદા કરતો સિલસિલો

નવી દિલ્હી, તા.17: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવાઈ યાત્રામાં સલામતી અંગે દેશભરમાં સવાલો ઉઠી રહ્યાં છે ત્યારે આ સવાલોને ભયમાં ફેરવે અને મુસાફરોને પરેશાનીમાં મૂકે તેવી ઘટનાઓ ઉપરા ઉપરી સામે આવી રહી છે. જેમાં આજે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકનિકલ ખોટકાનાં કારણે રદ કરવી પડી હતી. એર ઈન્ડિયાનાં અન્ય એક વિમાનનાં એન્જિનમાં ગડબડનાં કારણે કોલકતામાં ઉતારી લેવું પડયું હતું. તો બોમ્બની ધમકી મળતા એક વિમાનનું નાગપુરમાં આપાત ઉતરાણ કરવામાં આવ્યું હતું.

સોમવારની મોડી રાતે મુંબઈથી અમદાવાદ આવનાર એર ઈન્ડિયાનું એક વિમાન અમુક ઓપરેશનલ કારણોસર કલાકો સુધી મોડું પડયું હતું. આ દરમિયાન વિમાનનાં ક્રૂ કર્મચારીઓની નોકરીનો સમય પૂરો થઈ ગયો હતો. જેનાં હિસાબે આખરે ફ્લાઈટ જ કેન્સલ થઈ હતી.

અમદાવાદ દુર્ઘટના બાદથી એર ઈન્ડિયાનાં વિમાનો સતત સમસ્યામાં ઘેરાયેલા દેખાવા લાગ્યા છે. સન ફ્રાંસિસ્કોથી મુંબઈ આવતાં એર ઈન્ડિયાનાં એક વિમાનમાં એન્જિનમાં ગડબડ સામે આવી હતી. જેનાં હિસાબે આ વિમાનને કોલકતામાં ઉતારી લેવાની ફરજ પડી હતી. સલામત ઉતરાણ બાદ યાત્રીઓને પણ તેમાંથી ઉતારી લેવાયા હતાં અને વિમાને પછી આગળની યાત્રા માંડી વાળી હતી.

તો દિલ્હીથી કોચ્ચી જઈ રહેલા ઈંડિગો એર લાઈન્સનાં વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી. જેને પગલે વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આમ, છેલ્લા પાંચ દિવસમાં વિમાનમાં બોમ્બની ધમકી મળવાનો આ ત્રીજો બનાવ બન્યો છે.

અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલું વિમાન લંડન માટે ઉડાન ભર્યાની અમુક ક્ષણોમાં જ તૂટી પડયું હતું. જેને પગલે લોકોમાં ભય વ્યાપી ગયેલો છે ત્યારે આજે અમદાવાદથી લંડન જનાર એર ઈન્ડિયાનાં જ વિમાન એઆઈ-1પ9માં ટેકનિકલ ખરાબી આવી હતી. જેનાં હિસાબે આ યાત્રા જ રદ કરી નાખવાની ફરજ પડી હતી. ફ્લાઈટ અચાનક રદ કરવામાં આવતાં મુસાફરોમાં પણ વિચિત્ર કચવાટ અને રોષ ઉભરાયો હતો. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક