• શુક્રવાર, 13 જૂન, 2025

3000 વાહન ભરેલા જહાજમાં ભીષણ આગ

અલાસ્કાનાં તટ નજીક ભયાનક દુર્ઘટના : ઈલેક્ટ્રિક વાહનોની બેટરીનાં કારણે આગ ભભૂક્યાનું પ્રાથમિક તારણ

નવી દિલ્હી, તા.9: અલાસ્કાના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના ટળી ગઈ પણ ખતરો હજી બરકરાર છે. 3000થી વધુ વાહનો ભરેલા બ્રિટિશ સંચાલિત માલવાહક જહાજ મોર્નિંગ મિડાસમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. તેમાંથી 750 ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ કાર હતી.

અલાસ્કા કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, તેમને રવિવારે કટોકટીનો ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે મોર્નિંગ મિડાસ નામના જહાજમાં આગ લાગી છે. બોર્ડ પર 22 ક્રૂ સભ્યો હતા, જેમને એક ખાનગી જહાજ દ્વારા બચાવવામાં આવ્યા હતા. આ જહાજ હાલમાં અલાસ્કાના અડાક વિસ્તારથી લગભગ 547 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે અને હજુ પણ સળગી રહ્યું છે. જો કે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી તેના ડૂબવા અથવા ઝૂકવાનાં કોઈ સંકેતો નથી. 

આ જહાજમાં આશરે 750 ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહનો હતા, જેમાંથી મોટાભાગના લિથિયમ-આયન બેટરીથી સજ્જછે. આ બેટરીઓને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે, પરંતુ જો તેને આંચકો લાગે અથવા તેઓ તૂટી જાય, તો તે વધુ ગરમ થઈ શકે છે અને આગ પકડી શકે છે. જોકે આ વખતે આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોની બેટરી જ મુખ્ય કારણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં એવા ઘણા ઉદાહરણો છે કે જ્યાં ઇ.વી. વહન કરતા જહાજોમાં અચાનક આગ લાગી હતી અને મોટાભાગના કિસ્સાઓમાં, આગ લાગવાનું કારણ બેટરી હોવાનું માનવામાં આવતું હતું. 

આ અકસ્માત આપણને ફરીથી વિચારવા મજબૂર કરે છે કે ઇ. વી. ટેકનોલોજી કેટલી સલામત છે, ખાસ કરીને જ્યારે તેને મોટી માત્રામાં એકસાથે પરિવહન કરવામાં આવે છે. ભૂતકાળમાં લિથિયમ-આયન બેટરીમાં આગ લાગવાની ઘટનાઓ નોંધવામાં આવી છે, પછી ભલે તે ઇલેક્ટ્રિક સ્કૂટર હોય, કાર હોય અથવા એરલાઇન્સમાં લઈ જવામાં આવતા ઉપકરણો હોય. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું આપણે ઇવી માટે સ્માર્ટ પરિવહન માર્ગદર્શિકા બનાવવી જોઈએ? શું આ વાહનોના પરિવહન માટે અલગ સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ?  

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક