• શનિવાર, 14 જૂન, 2025

વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

પરિવાર પાસે લંડન જતાં

હતા: ગુજરાતનાં રાજકારણમાં આઘાત અને શોક

અમદાવાદ,તા.12: અમદાવાદથી લંડન જઈ રહેલાં વિમાનની ભયાનક દુર્ઘટનામાં ગુજરાતની રાજનીતિને પણ મોટો આઘાત લાગ્યો હતો. આ વિમાન અકસ્માતમાં રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. વિજય રૂપાણી પણ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં યાત્રા કરી રહ્યાં હોવાનાં અહેવાલો આવતાની સાથે જ રાજકોટમાં તેમનાં નિવાસે સ્થાનિક નેતાઓ, ભાજપ કાર્યકરો  અને હિતેચ્છુઓ ધસી ગયા હતાં અને તેમની સલામતીની પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ ગયો હતો. જો કે સાંજ પડતા વિમાન દુર્ઘટનામાં ગુજરાતે આ વરિષ્ઠ નેતાને ગુમાવ્યા હોવાનું લગભગ પુષ્ટ અને સ્પષ્ટ થઈ જતાં શોક પ્રસરી ગયો હતો.

વિજય રૂપાણી લંડનમાં વસતા પોતાના પુત્રી પાસે જઈ રહ્યાં હતાં. વિજયભાઈનાં પત્ની અંજલીબેન અગાઉથી ત્યાં જ હતાં. આ ઉપરાંત ભાજપનાં અગ્રણી નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ સપરિવાર ત્યાં પહોંચી ગયા હતાં. વિજયભાઈ લંડન પહોંચે પછી બધા લોકો સપરિવાર યાત્રા-પ્રવાસે જવાના હતાં. જો કે વિજયભાઈની લંડનની યાત્રા અનંતની યાત્રા બની ગઈ હતી. જો કે વિજય રૂપાણીની વિમાન દુર્ઘટનામાં સલામતી શંકાસ્પદ બન્યા બાદ લંડનથી તેમનો પરિવાર રાજકોટ પરત આવવા માટે રવાના થઈ ગયો છે.

પ્રચંડ વિસ્ફોટ સાથે અગનગોળો બનેલા વિમાનમાં લગભગ કોઈ જ યાત્રીનાં મૃતદેહ ઓળખી ન શકાય તેવી ભડથું થયેલી હાલતમાં મળી આવ્યા છે. જેને પગલે સાંજ સુધી વિજય રૂપાણીનાં મૃત્યુની પુષ્ટિ કોઈ તરફથી કરવામાં આવી નહોતી. રાજ્યનાં ઘણાં નેતાઓએ વિજય રૂપાણીને અંજલિ આપતી સોશિયલ મીડિયા પોસ્ટો મૂકી હતી અને મોડી સાંજે સી.આર.પાટિલે ગુજરાતે એક પ્રતિભાશાળી અને સક્ષમ નેતા ગુમાવ્યા હોવાનું કહીને તેમનાં નિધનને પુષ્ટિ આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક