ભારતના ઈતિહાસની બીજી મોટી વિમાન દુર્ઘટના : ઉડાન પછી એર ઈન્ડિયાનું વિમાન ધડાકાભેર બી.જે. મેડિકલ કોલેજ પરિસરમાં મેસ ઉપર તૂટી પડયું
કાળને
પણ પોતાના કૃત્ય માટે પુન: વિચાર કરવો પડે તેવી અત્યંત આઘાતજનક દુર્ઘટના આજે અમદાવાદમાં
બની છે જેણે સમગ્ર દેશને ધ્રુજાવી દીધો છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટથી બપોરે
1.38એ લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે ઉપડેલું એઆઈ 171 વિમાન હજી તો ઊંચાઈ પકડે તે
પૂર્વે જ, બે મિનિટમાં, 1.40 કલાકે મેઘાણીનગરમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર
તૂટી પડયું હતું. લંડન જવા માટે અનેક અરમાનો સાથે ઊપડેલા મુસાફરો હજી તો અમદાવાદની
આકાશી હદ છોડે તે પૂર્વે વિમાન નીચે મકાન સાથે અથડાઈ અગનગોળો બની ગયું. ભારતમાં બનેલી
વિમાન દુર્ઘટનાઓના ઇતિહાસમાં આ બીજા નંબરની મોટી દુર્ઘટના છે. જેમાં 290 લોકોના મૃત્યુની
સંભાવના છે. અમદાવાદમાં 1988 પછી પહેલીવાર આ રીતે વિમાન દુર્ઘટના સર્જાઈ છે. 235થી
વધારે મુસાફરોના આ દુર્ઘટનામાં તત્કાળ કે થોડી જ મિનિટોમાં મૃત્યુ થયાં હતાં. મૃતદેહો
એ રીતે સળગી ગયા હતા કે કોઈની ઓળખ શક્ય નહોતી. હવે ડીએનએ પરીક્ષણ કરીને મૃતશરીરો સ્વજનોને
સોંપવામાં આવશે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના રુપમાં
એક પ્રગતિશીલ અને કર્મઠ નેતા પણ ગુમાવી દીધા છે. રાજકોટ, ગુજરાત, ભારત આ અકસ્માતથી
શોકગ્રસ્ત છે.
અમદાવાદ
તા. 12: (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાત જ નહીં, સમગ્ર દેશને હચમચાવી નાંખતી વિમાન દુર્ઘટના
આજે અમદાવાદમાં બની છે. ભારતમાં થયેલા એરક્રેશની ઘટનામાં અત્યાર સુધીની બીજી મોટી દુર્ઘટનામાં
વિમાનમાં બેઠેલા 231 મુસાફરોના અને 10 ક્રૂમેમ્બરના
મૃત્યુ થયાં હોવાનું પ્રાથમિક તબક્કે જાહેર થયું છે. એક મુસાફર બચી ગયા છે. આ અત્યંત
ભીષણ વિમાની દુર્ઘટનામાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું પણ દુ:ખદ અવસાન
થયું હોવાના સમાચારે રાજ્યભરમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય
ઍરપોર્ટ પર ટેક અૉફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું એઆઈ 171 નંબરનું પ્લેન
ક્રેશ થયું હતું. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક અૉફ થયું હતું અને 1.40
વાગે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 128 પુરૂષો, 114 મહિલા, 10 બાળકો અને 4 નવજાત શિશુઓ
હતા. આ ઉપરાંત 2 પાયલોટ અને 10 ક્રુ મેમ્બર હતા. એર ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં
બ્રિટનના 52, કેનેડાનો 1, પોર્ટુગલના 6 અને
બાકીના ભારતીય મુસાફરો સહિત 242 મુસાફરો સવાર હતા.જેમાંથી એક વ્યક્તિનો બચાવ થયો છે.
વિમાન પડયું તે સ્થળે અમદાવાદની બી.જે. મેડિકલ
કોલેજની હોસ્ટેલ હતી. તબીબીવિજ્ઞાનમાં ભણતા 50 જેટલા વિદ્યાર્થીઓના પણ મૃત્યુ થયાં
હોવાના અહેવાલ છે.
આ દુર્ધટનાના
પગલે આજે ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદથી ઓપરેટ થતી તમામ ફ્લાઇટોને અનિશ્ચિત કાળ
સુધી રદ કરવામાં આવી હતી પરંતુ સાંજે 5 વાગ્યા પછી કેટલીક ફ્લાઇટ ઉડાન કરવાની મંજૂરી
આપી હતી. દરમિયાન એર ઇન્ડિયા દ્વારા 105ના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત અતુલ્યમ 1, 2, 3 અને 4 બિલ્ડિગ પર પ્લેન ક્રેશ થવાથી ત્યાં રહેતા કેટલાક ડોકટરોના
પણ મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જેને જોતા મૃતકોનો આંક 275થી લઇને 280 સુધી પહોંચી
શકે તેવી શક્યતા છે. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા મોડી સાંજ સુધી કેટલા મુસાફરોના મૃત્યું
થયા છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ એર
ઈન્ડિયા ફ્લાઈટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સના
ગ્રૂપ ફાઉન્ડર પ્રમુખ નંદા અને તેમનો પરિવાર પણ
સવાર હતો. તેમના પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા ફ્લાઈટમાં
સવાર હતાં. આ સિવાય લુબીના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીન પણ હતાં. જેઓનું નિધન થયું હોવાનું
પણ જાણવા મળે છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ
4 બિલ્ડિગ આગની ઝપેટમાં આવી હતી.જાણવા મળ્યા મુજબ, પ્લેન ક્રેશ થયું ત્યારે આ હોસ્ટેલમાં
50 થી 60 ડોકટર હતા. જેમાંથી હાલ 20 જેટલા ડોકટરો ધાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર
આપવામાં આવી રહી છે. જ્યારે બીજા ડોકટરોની કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. હોસ્ટેલની સ્થિતિ
પ્લેન ક્રેશ થયા પછી એવી હતી કે, ત્યાં સ્ટેચર ખૂટી પડયા હતા. તાત્કાલિક ધોરણે લારીમાં
ઘાયલ થયેલા તેમજ મૃતક પામેલા લોકોને લાવવામાં આવ્યા હતા. લાશના ટુકડા ભેગા કરવા પડયા
હતા. કોનો મૃતદેહ છે તે ખ્યાલ આવે નહીં તેવી સ્થિતિ હતી. લાશ ઉપાડવા માટે આસપાસની મહિલાઓએ
દુપટ્ટા આપવા પડયા હતા. લાશ પર ઠાંકવા માટે સફેદ કાપડ પણ ન હતી.
દરમિયાન
મળેલી માહિતી મુજબ, અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા બાદ પ્લેનના
ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે
પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ
બિલ્ડિગને અથડાયું હતું, આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિગને ભારે નુકસાન થયું છે અને
તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિગમાં ભયંકર આગ લાગી
હતી. આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિગના ચોથા માળેથી કૂદ્યા
હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા
માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી
તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિગમાં આગ
લાગતા 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા.
આ દરમિયાન,
વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ
લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની
મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
દૂર
દેખાઈ અગનજ્વાળા, કાટમાળ 300 ફૂટ દૂર ફેંકાયો
પ્રાપ્ત
થયેલી માહિતી મુજબ, ફ્લાઇટ એઆઈ 171 ના પ્રારંભિક અઉજ-ઇ ડેટા દર્શાવે છે કે વિમાન
625 ફૂટની મહત્તમ બેરોમેટ્રિક ઊંચાઈ સુધી પહોંચ્યું હતું (એરપોર્ટની ઊંચાઈ લગભગ
200 ફૂટ છે) અને પછી તે -475 ફૂટ પ્રતિ મિનિટની વર્ટિકલ ઝડપે નીચે ઉતરવાનું શરૂ થયું
હતું. એર ઇન્ડિયાનું પ્લેન જ્યા ક્રેશ
થયું તે બિલ્ડિગ સિવિલ હોસ્પિટલમાં આવેલી ઇન્ટર્ન ડોકટરની હોસ્ટેલ હતી. મેઘાણીનગર વિસ્તારમાં
ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના
ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક અૉફ વખતે વિમાનનો
પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ
ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર
સુધી ઉછળીને પડયો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિગથી એફએસએલની બિલ્ડિગ સુધી વિમાનનો કાટમાળ
ફેલાયેલો જોવા મળી રહ્યો હતો.