• શનિવાર, 14 જૂન, 2025

ચમત્કારિક 11, અપશુનિયાળ 12 !

-વિમાનની સીટ નંબર 11-એ ઉપર બેઠેલા દીવનાં રમેશનો ભયાનક દુર્ઘટનામાં પણ આબાદ બચાવ :

વિજય રૂપાણીનાં વાહનોનો નંબર 1206, આજની તારીખ 12-06 અને પેસેન્જર લિસ્ટમાં પણ ક્રમ 12

 

 

રાજકોટ, તા.12: જે વિમાન દુર્ઘટનામાં કોઈ જ બચ્યું ન હોવાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું તેમાં મૂળ દીવનાં બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમારનો વિશ્વાસ ન આવે તેવો ચમત્કારિક બચાવ થયો છે. રમેશ વિમાનની 11-એ નંબરની સીટમાં મુસાફરી કરતો હતો અને તેનાં બચાવથી ‘રામ રાખે તેને કોણ ચાખે’ ઉક્તિ ફરી એકવાર યથાર્થ પુરવાર થઈ હતી. તો બીજીબાજુ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કદાચ જેને ભાગ્યશાળી અંક માનતા હતાં તે આંકડો જ તેમનાં માટે અપશુકનિયાળ સાબિત થયો છે. વિજય રૂપાણીનાં બધા જ અંગત વાહનોનાં નંબર 1206 છે અને આજે 12-6 તારીખ જ તેમનાં માટે જીવનનો અંતિમ દિવસ બની ગયો હતો. આમાં પણ એક સંયોગ એવો છે કે, વિમાનનાં મુસાફરોની યાદીમાં પણ વિજય રૂપાણીનો ક્રમ 12મો હતો!

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, પોલીસને સીટ 11એ પર એક જીવિત વ્યક્તિ મળી આવ્યો છે. તે વ્યક્તિ હોસ્પિટલમાંથી મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.  40 વર્ષીય બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે ખૌફનાક કહાની વર્ણવી હતી. તેણે કહ્યું કે, ટેકઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. મારી આસપાસ વિમાનના ટુકડા વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા.

બ્રિટિશ નાગરિક વિશ્વાસ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને પોતાના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે બ્રિટન પાછો ફરી રહ્યો હતો. વિશ્વાસે જણાવ્યું કે, તે 20 વર્ષથી લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે.

નંબરોનો કંઈક અજબ સંયોગ આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં નિધન વખતે સર્જાયો છે જે ભલભલા ન્યુમોરોલોજીસ્ટને પણ વિચાર કરવા મજબૂર કરી દે છે. વિજયભાઈને 1206 નંબર ખૂબ જ ગમતો હતો. આ નંબર એમને એટલો બધો પ્રિય હતો કે, તેમણે તેમની તમામ ગાડીઓની નેઈમ પ્લેટ ઉપર આ નંબર રાખ્યો હતો. એ નંબર અચૂક તેમની પ્રગતિનો માર્ગ બન્યો પરંતુ જીવન માર્ગ ન બની શક્યો.

અર્થાત આજે તા.12/06ના રોજ તેઓ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં. આ એ જ નંબરની પેટર્ન છે જે વિજયભાઈને સૌથી વધુ પસંદ હતી. બન્ને નંબરનો સંયોગ ખરેખર આશ્ચર્ય પમાડે છે. આ નંબરની માયાજાળમાં હજુ ઉંડા ઉતરીએ તો વિજયભાઈ જે સીટ ઉપર બેઠા હતાં તેનો બોડીંગ નંબર પણ 12 હતો અર્થાત વિજયભાઈની પસંદના નંબરના પ્રથમ બે આંકડા સીટ નંબરના આંકડા છે. ખરેખર આ સંયોગ હતો કે  ? કે કોઈ સંકેત ? તે તો કોઈ ન્યુમોરોલોજિસ્ટ જ કહી શકશે. આ અંગેની માહિતી ભાજપના અગ્રણીઓ નીતિનભાઈ ભૂત, પૂર્વ કાર્યાલય મંત્રી  હરેશભાઈ જોશીએ ફૂલછાબને આપી હતી જેઓ હાલ અમદાવાદ જવા રવાના થઈ ચૂક્યાં છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક