• શનિવાર, 14 જૂન, 2025

‘શબ્દોથી વ્યક્ત ન થાય તેવી પીડા’

રાષ્ટ્રપતિ મુર્મૂ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહે પ્રગટ વ્યક્ત કર્યો આઘાત અને દુ:ખ

 

નવી દિલ્હી,તા.12: અમદાવાદની ભયંકર વિમાન દુર્ઘટના પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતનાં રાજકીય નેતાઓએ ઘેરો આઘાત અને દુ:ખ વ્યક્ત કરીને શક્ય તમામ સહાયની ધરપત આપી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એક્સ ઉપર પોતાની પીડા પ્રગટ કરતી પોસ્ટમાં લખ્યું હતું કે, આ કરુણાંતિકાથી વ્યથિત છું. દુર્ઘટનાગ્રસ્તો માટે મનથી પ્રાર્થના કરું છું. આ દુ:ખની ઘડીમાં આખો દેશ તેમની સાથે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત ઉપર પહેલી પ્રતિક્રિયા આપતાં એક્સ ઉપર એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ મને સ્તબ્ધ અને દુ:ખી કર્યો છે. આ શબ્દોમાં વર્ણવી શકાય નહીં તેવી હૃદયદ્રાવક દુર્ઘટના છે. છે. આ દુ:ખદ ઘડીમાં, મારી સંવેદના પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છું.

અમિત શાહે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને કહ્યું હતું કે, મને જે દુ:ખ થયું તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. બચાવ ટીમોને તાત્કાલિક અકસ્માત સ્થળે મોકલવામાં આવી છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે વાત કરી છે. આ સાથે અમિત શાહે તમામ કેન્દ્રીય સહાયની ખાતરી આપી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રિય જળસંપત્તિ મંત્રી સી.આર.પાટીલે ટ્વીટ કરીને જણાવ્યું કે, અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થઇ જવાની ઘટના ખુબ જ દુ:ખદ છે. આ દુર્ધટનાથી ખુબ વ્યથિત છું. ભારતીય જનતા પાર્ટીને તમામ કાર્યકર્તાઓને રાહત કાર્યમાં જોડાવા અને સૌ પરિવારોને શક્ય એટલી તમામ સહાય કરવા અપીલ કરું છું. સૌ શોકગ્રસ્ત પરિવારજનોને આ કપરી પરિસ્થિતિ સહન કરવાની ઈશ્વર શક્તિ બક્ષે અને ઇજાગ્રસ્તો ખુબ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ગુજરાતના અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ આઘાત લાગ્યો, જેમાં ઘણા મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા.ભયાનક દ્રશ્યો જોઈને હૃદયદ્રાવક અનુભવ થયો. મુસાફરો, પાઇલટ અને ક્રૂના પરિવારો સાથે અમારી હૃદયપૂર્વકની સહાનુભૂતિ, વિચારો અને પ્રાર્થના. હું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને પીડિતો અને તેમના પ્રિયજનોને તમામ પ્રકારની સહાય અને સમર્થન આપવા વિનંતી કરું છું.

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટના હૃદયદ્રાવક છે.મુસાફરો અને ક્રૂના પરિવારો જે પીડા અને ચિંતા અનુભવી રહ્યા હશે તે અકલ્પનીય છે. આ અતિ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ તેમના દરેક સાથે છે.વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત પ્રયાસો મહત્વપૂર્ણ છે - દરેક જીવન મહત્વનું છે, દરેક ક્ષણ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ કાર્યકરોએ જમીન પર મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ.

કોંગ્રેસના નેતા પ્રિયંકા વાડરાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર મુસાફરો અને ક્રૂના પરિવારો પ્રત્યે મારું હૃદય દુ:ખી છે. આખો દેશ આશા રાખું છું કે તમારા પ્રિયજનો આ ભયાનક દુર્ઘટનામાં બચી જશે. ભગવાન તમારા બધાની

સાથે રહે.

કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી અઈં-171 વિમાન પર થયેલી વિનાશક દુર્ઘટનાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઘાતમાં છે. સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે, પરંતુ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોને બચાવ, રાહત અને અન્ય પ્રયાસોમાં મદદ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. મુસાફરો અને ક્રૂ માટે અમારી પ્રાર્થના ચાલુ છે. આ અત્યંત દુ:ખની ક્ષણ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક