• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

કુદરતી આફત વચ્ચે ઉત્તરાખંડના ગૌરીકૂંડમાં ફસાયેલા 47 સૌરાષ્ટ્રવાસી શ્રદ્ધાળુ સુરક્ષિત

મોરબી, રાજકોટ અને જામનગરના 47 સિનિયર સિટીઝનનું જૂથ સોનપ્રયાગ જવા રવાના

રાજકોટ તા.3 : ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે ગૌરીકૂંડ નજીક રાજકોટ, મોરબી અને જામનગરના 47 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા. જોકે, ઉત્તરાખંડના સ્થાનિક તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા, જેના કારણે સૌએ હાશકારો અનુભવ્યો હતો. બાદમાં રસ્તો ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુ ગૌરીકૂંડથી સોનપ્રયાગ જવા રવાના થઈ ગયા છે. 

છેલ્લા કેટલાક દિવસોથી કેદારનાથ ધામ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યું છે. આ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે યાત્રાળુઓ માટે આગળ વધવું મુશ્કેલ બન્યું હતું. રાજકોટ, મોરબી અને જામનગરથી ગયેલો શ્રદ્ધાળુઓનો એક મોટો સમૂહ ગૌરીકૂંડ પાસે રસ્તામાં અટવાઈ ગયો હતો. ખરાબ હવામાન અને રસ્તા પર કાદવ અને પથ્થરો પડવાને કારણે તેમની યાત્રા અટકી ગઈ હતી. ખાસ કરીને યાત્રાનો આ રૂટ સૌથી વધુ જોખમી ગણાય છે.

આ યાત્રાળુઓનો સમૂહ કેદારનાથના દર્શન માટે જઈ રહ્યો હતો. ગૌરીકૂંડ પાસે રસ્તામાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો હતો કે વાહનવ્યવહાર અટકી ગયો હતો. આ પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓ ભયભીત થઈ ગયા હતા. જોકે, પરિસ્થિતિની જાણ થતાં જ ઉત્તરાખંડનું વહીવટી તંત્ર તરત જ સક્રિય થઈ ગયું અને બચાવ કામગીરી  શરૂ કરી. ગઢવાલ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે પણ તાત્કાલિક મદદ માટે પહોંચી હતી. તંત્ર દ્વારા એક વિશેષ બચાવ ટુકડી મોકલવામાં આવી હતી. આ ટીમે રસ્તા પરથી કાદવ અને પથ્થરો હટાવીને માર્ગ ખુલ્લો કર્યો. ત્યાર બાદ તમામ 47 શ્રદ્ધાળુઓને સલામત રીતે તે સ્થળેથી બહાર કાઢીને સોનપ્રયાગ ખાતે સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા. તંત્રએ ખાતરી આપી છે કે તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે અને તેમને કોઈ નુકસાન પહોંચ્યું નથી. આ બચાવ કામગીરીએ સ્થાનિક વહીવટી તંત્રની ત્વરિત પ્રતિભાવ ક્ષમતા દર્શાવી હતી. આ ઘટનાથી ગુજરાત, ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. શ્રદ્ધાળુઓના પરિવારજનોને તેમના પ્રિયજનોની સલામતી માટે ચિંતાતુર બન્યા હતા, પરંતુ તંત્રની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો. સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા યાત્રાળુઓએ પણ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે પણ આ મામલે સતત ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં રહીને માહિતી મેળવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક