• મંગળવાર, 21 મે, 2024

ચારધામ યાત્રા : ભક્તોની સંખ્યા પર નિયંત્રણ

- દરરોજ માત્ર 15 હજાર ભાવિક જ કેદારનાથનાં દર્શન કરી શકશે : હોટેલ એસોસીએશનનો વિરોધ

 

દેહરાદૂન, તા. 30:  ઉત્તરાખંડમાં 10 મેથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં 19 લાખથી વધુ ભાવિકએ આ માટે નોંધણી કરાવી છે. ગયા વર્ષે, વિક્રમી 55 લાખ લોકો આવ્યા હતા, તેથી વ્યવસ્થા ઘણી વખત ખોરવાઈ ગઈ હતી. આમાંથી બોધપાઠ લઈને ઉત્તરાખંડ પોલીસ અને પર્યટન વિભાગે પ્રથમ વખત ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની દૈનિક સંખ્યા મર્યાદિત કરી છે.

પ્રવાસન સચિવ સચિન કુર્વેએ જણાવ્યું હતું કે, એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુ કેદારનાથ ધામનાં દર્શન કરી શકશે, 16 હજાર લોકો બદ્રીનાથ ધામનાં દર્શન કરી શકશે, 9 હજાર ભાવિક યમુનોત્રીનાં દર્શન કરી શકશે અને 11 હજાર લોકો ગંગોત્રીનાં દર્શન કરી શકશે. એટલે કે, દરરોજ 51 હજાર લોકો ચારધામની મુલાકાત લેશે. ગત વર્ષે રોજનાં 60 હજારથી વધુ શ્રદ્ધાળુ દર્શન માટે આવતા હતા.

ઋષિકેશ બાદ પ્રવાસીઓને રોકવા માટે બેરિયર છાવણીઓ નક્કી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ બદ્રીનાથ જવા માગતો હોય, તો તેને પહેલાં શ્રીનગરમાં રોકવામાં આવશે. જો દૈનિક 15 હજારની મર્યાદા પહોંચી જાય, તો ભક્તોએ અહીં રાત્રિ રોકાણ કરવું પડશે. બીજા દિવસે, આ જ પ્રક્રિયા રુદ્રપ્રયાગ, પછી ચમોલી, પીપલકોટી અને જોશીમઠમાં અનુસરવામાં આવશે, એટલે કે જ્યારે નંબર આવશે ત્યારે જ યાત્રિક આગળ વધી શકશે. કેદારનાથ ધામના ભક્તોને પણ શ્રીનગર, રુદ્રપ્રયાગ, ઉખીમઠ, ગૌરીકુંડમાં રોક્યા બાદ આગળ જવા દેવામાં આવશે.

ગંગોત્રી-યમુનોત્રી જતા ભક્તોને ટિહરી, ચંબા, ઉત્તરકાશીમાં રોકવામાં આવશે. આ છાવણીમાં એક સમયે 20 થી 30 હજાર લોકો રહી શકશે. અહીં હોટેલ અને હોમ સ્ટેની સુવિધા છે. જો કે, ચારધામ હોટલ એસોસીએશન આ નિર્ણયની વિરુદ્ધમાં આવ્યું છે. એસોસીએશનના પ્રમુખ અજય પુરીએ કહ્યું કે, આનાથી વ્યાપાર ઘટશે. ઉત્તરકાશી હોટલ એસોસીએશનના પ્રમુખ શૈલેન્દ્ર માટુડાએ જણાવ્યું હતું કે, રાજ્યની અર્થવ્યવસ્થા પ્રવાસન અને તીર્થયાત્રા પર નિર્ભર છે. જો છ મહિનાની સિઝન દરમિયાન પણ સંખ્યા મર્યાદિત રહેશે, તો વ્યવસાયને અસર થશે. જો સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે, તો હોટલ અને હોમ સ્ટે બંધ કરવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક