PTIને આપેલી મુલાકાતમાં વડાપ્રધાને કહ્યું, કોઈને ખાસ નાગરિક નહીં માનીએ
નવી દિલ્હી, તા. 20 : લોકસભા ચૂંટણી પૂર્ણતાના આરે છે ત્યારે ભાજપ લઘુમતીઓનો વિરોધી નથી, પણ કોઈને પણ ખાસ નાગરિક નહીં માનીએ તેવું પીટીઆઈને આપેલી મુલાકાતમાં લઘુમતીઓ પર પુછાયેલા સવાલના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવી બંધારણના મુદ્દે કોંગ્રેસ પર આરોપો પણ લગાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પણ લઘુમતીઓનો વિરોધ કર્યો નથી, પણ એ સ્પષ્ટ છે કે, કોઈ પણ નાગરિકને ‘ખાસ નાગરિક’ તરીકે સ્વીકાર કરવા તૈયાર નથી.
વિપક્ષ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સહિતના ઈન્ડિયા જોડાણના લોકો પોતાના ભાષણમાં સમાજને તોડવાનું અને તુષ્ટીકરણનું કામ કરે છે અને બંધારણને ધર્મ નિરપેક્ષતાના આધારે અવગણના કરવા માગે છે તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મારા ભાષણોનો હેતુ વિપક્ષો દ્વારા કરાતા લઘુમતીઓના તૃષ્ટીકરણને રોકવાનો છે. હું માત્ર કોંગ્રેસના વોટબેંકના રાજકારણને ઉજાગર કરવા માટે બોલું છું. કેમ કે, કોંગ્રેસ બંધારણ વિરુદ્ધનું કામ કરે છે. બસ, લોકોને તે સમજાવવા માગું છું તેવા પ્રહાર વડાપ્રધાન મોદીએ કર્યા હતા.