• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ભારત સામેની વધુ એક કારમી હારથી પાકિસ્તાનમાં હડકંપ

અફ્રિદી અને અખ્તર સહિતના પૂર્વ ખેલાડીઓ પાક. ટીમના દેખાવથી રોષિત

કરાચી, તા.16: ભારત સામેની વધુ એક હાર પછી પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપની સ્થિતિ છે. ભારત સામે પ્રતિકાર વિના 61 રનની હાર બાદ પાક. ચાહકો અને દેશના પૂર્વ ખેલાડીઓનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા કેટલાક વીડિયો અપલોડ થયા છે, જેમાં જોવા મળે છે કે પાકિસ્તાનમાં ફરી ટીવી તૂટયાં હતાં. ખેલાડીઓનાં પોસ્ટર ફાડવામાં આવ્યાં હતાં અને ટીમ વિરુદ્ધ નારેબાજી થઈ હતી. પાક.ના કેટલાક ચાહકોએ કહ્યું કે આના કરતા તો બહિષ્કાર ચાલુ રાખ્યો હતો તો લાજ રહી જાત.

પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ અફ્રિદીએ બાબર આઝમ, શાદાબ ખાન અને શાહિન અફ્રિદીને ટીમ બહાર કરી દેવાની માગ કરી છે. શાહિન તેનો જમાઈ છે. જો કે અફ્રિદી હવે તેને બચાવવાના મૂડમાં નથી. અફ્રિદીએ કહ્યું મારા હાથમાં પસંદગી હોત તો બાબર, શાદાબ અને શાહિનને ટીમમાં જગ્યા આપત જ નહીં.

જાવેદ મિયાંદાદે કહ્યું, ખેલાડીઓએ મોટા મેચમાં જ જુસ્સો બતાવવાનો હોય છે જ્યારે મોહમ્મદ યુનુસે કહ્યું કે, બાબર-શાહિનની ટી-20 કેરિયર હવે સમાપ્ત થઈ છે. શોએબ અખ્તરે કહયું કે, કોણ કહે છે કે બાબર આઝમ સુપરસ્ટાર છે. જે એક પણ મેચ જીતાડી શકે નહીં તે કયાનો સુપરસ્ટાર. અખ્તરે પીસીબીમાંથી મોહસિન નકવી રાજીનામું આપે તેવી પણ માગ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક