તાલાલા ગીર, તા. 11 : તાલાલા-સાસણ સહિત ગીર વિસ્તારમાં સિંહો-દીપડાનો સ્વભાવ બદલાઈ રહ્યો છે જેને કારણે માનવી ઉપર હુમલા વધી રહ્યાનું વન વિભાગ તારણ સત્ય નથી, પરંતુ આ વિસ્તારનો ટૂરીઝમ વિકાસ થતાં ટૂરીસ્ટોનું ઘોડાપૂર તાલાલા-સાસણ સહિત ગીર વિસ્તારમાં આવી રહ્યું છે જેનાં કારણે કાયદેસરની સાથે ગેરકાયદે સિંહ દર્શન વધી ગયા છે જેથી હિંસક પ્રાણીઓનો મૂળભૂત સ્વભાવ બદલાયો હોય તેવું આ વિસ્તારના લોકોનું માનવું છે. આ અંગે વન અધિકારીઓએ સુચારુ આયોજન કરવા તાલાલા માર્કાટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જીકુભાઈ સુવાગિયા એ માગણી કરી છે.
યાર્ડના
પૂર્વ ચેરમેને રાજ્યના મુખ્ય વન સંરક્ષકને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ગેરકાયદે
લાયન શોમાં થતી પજવણીથી માનવ ઉપર હિંસક પ્રાણીઓના હુમલા વધી ગયા છે અને સિંહો તેમજ
હિંસક પ્રાણીઓનો સ્વભાવ બદલાઈ રહ્યો છે એ વાત સાચી છે પરંતુ સિંહોનું રહેણાક ગીરનું
જંગલ અને ખાસ કરીને તાલાલા-સાસણને સિંહ દર્શનનું ટૂરીઝમ સ્થળ બનાવવાના કારણે ટૂરિસ્ટોનું
ઘોડાપૂર ગીર વિસ્તારમાં આવી રહ્યું છે. જેને કારણે કાયદેસર સિંહ દર્શન કરાવવાથી પણ
હિંસક પ્રાણી એવા સિંહોનો મૂળભૂત સ્વભાવ બદલાયો છે. સાસણ ને ટુરીઝમ પોઇન્ટ બનાવવાથી
વન્ય સૃષ્ટિને ભયંકર નુકસાન થયું છે. સાસણ, તાલાલા, જામવાળા, વિસાવદર, ધારીનાં જંગલોમાં
આવેલ ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાં કાયદેસર અને ગેરકાયદે હોટલો અને રિસોર્ટ અને બંગલાઓ
બનાવવાથી ત્યાં માનવ વસ્તીની અવરજવર ખૂબ જ વધી ગઈ છે. વધુ પર્યાવરણને જો કોઈએ નુકસાન
કર્યું હોય કે થયું હોય તો તે વધુમાં વધુ કાયદેસર લાયન શો અને ગેરકાયદે લાયન શો ને
કારણે થયું છે. આ માટે સાસણ અને ટૂરિઝમ પોઇન્ટનો વિકાસ કારણભૂત છે. જો આમને આમ રહ્યું
તો હજુ પર્યાવરણને લગતા અને હિંસક પ્રાણીઓના માનવ ઉપરના હુમલા ભયંકર રીતે વધતા રહેશે
એમ જણાવ્યું છે.