• રવિવાર, 03 ડિસેમ્બર, 2023

અમુલ ઈન્ડ.ના ભાગીદારોએ એક વર્ષથી પગાર નહીં ચૂકવતા કામદારનો આપઘાત લેબર કોર્ટે ત્રણ માસનો પગાર 30 દિવસમાં ચૂકવવા હુકમ કર્યે’તો

મૃતક સહિતનાની ર હજાર કિલોમીટર દૂર યુનિટમાં બદલી કરી નાખી’તી

રાજકોટ, તા.19 : (ફૂલછાબ ન્યુઝ) કોઠારિયા રોડ પરની સીતારામ સોસાયટીમાં રહેતા હરેશભાઈ વજુભાઈ હેરભા નામના આધેડે તેના ઘેર પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ થતા મૃતક હરેશભાઈના ભાઈ દીપકભાઈ સહિતના પરિવારજનો અને પોલીસ સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક હરેશભાઈ હેરભા આજી જીઆઈડીસીમાં આવેલ અમુલ ઈન્ડ. પ્રા. લી. કંપનીમાં રપ વર્ષથી નોકરી કરતા હતા અને એકાદ વર્ષથી પગાર, પીએફ સહિતની રકમની ચૂકવણી કરવામાં આવી ન હોઇ મૃતક હરેશભાઈ સહિતના અન્ય કામદારો દ્વારા વિરોધ કરી ફરિયાદ કરવામાં આવી હતી. આથી કંપનીના ભાગીદારો દ્વારા કિન્નાખોરી રાખી બે હજાર કિલોમીટર દૂર તમીલનાડુના વેલોર જિલ્લાના રાનીપેટ ખાતે આવેલ અમુલ ઈન્ડ. ખાતે બદલી કરી નાખવામાં આવી હતી.

આ મામલે મૃતક હરેશભાઈ સહિતના દ્વારા ગુજરાત સરકારના શ્રમ અને ઉદ્યોગ ભવનમાં ફરિયાદ કરી હતી અને આ અંગે રાજકોટ ખાતેની ઔદ્યોગિક ન્યાય પંચને ન્યાય નિર્ણય કરવા માટે જણાવવામાં આવ્યું હતું તેમજ મૃતક હરેશભાઈ તથા અન્ય કામદારો દ્વારા લેબર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતા લેબર કોર્ટે ત્રણ મહિનાનો પગાર 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હોવા છતાં પગાર કે પીએફની રકમ ચૂકવવામાં આવી નહોતી તેમજ મૃતક હરેશભાઈએ આ પગલું ભરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી અને જેમાં આર્થિક ભીંસ અને કંપનીના માલિકો સુરેશ સંતોકી અને નીતિન સંતોકી તથા અન્ય ભાગીદારોને જવાબદાર ગણાવ્યા હતા. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી હતી.

આ બનાવ અંગે પોલીસે કોઠારિયા રોડ પરની સીતારામ સોસાયટીમાં રહેતા મૃતક હરેશભાઈના ભાઈ દીપકભાઈ વજુભાઈ હેરભાની ફરિયાદ પરથી અમુલ ઈન્ડ.પ્રા.લી.ના માલિક સુરેશ સંતોકી, નીતિન સંતોકી અને અન્ય ભાગીદારો વિરુદ્ધ આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા

Crime

પોરબંદર: સોશિયલ મીડિયામાં ભાજપનાં મહિલા આગેવાનની બદનામી કરનાર શખસ સામે ગુનો એમએલએ લખાવી સીન જમાવતા ગ્રુપ એડમિનને પકડવા ચક્રો ગતિમાન December 03, Sun, 2023