• શનિવાર, 14 માર્ચ, 2026

ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીની સુરત મુલાકાતથી રાજકીય વમળો સર્જાયાં

સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગ અગ્રણી રવજીભાઈ ધામેલિયાના લસકાણા ખાતેના ફાર્મ હાઉસમાં બેઠકનો દોર ચાલ્યો

અમરેલી, તા.12 : ગુજરાત ભાજપમાં આગામી યોજાનાર મહાપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી પૂર્વે ભાજપના આંતરિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે ત્યારે પટેલ સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા ભાજપના સિનિયર નેતા અને સહકાર શિરોમણી ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અચાનક સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

ભાજપ અગ્રણી અને રાજ્યના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી બુધવારે અચાનક જ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વરાછા, કતારગામ, કામરેજ અને સામે પારના મોટા વરાછા વિસ્તારો કે, જ્યાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસે છે તે વિસ્તારની મુલાકાત લીધી હતી. મોડીરાત સુધી ચાલેલી બેઠક ચાલી હતી. દિલીપ સંઘાણીની સતત બે દિવસ સુધી સુરતની મુલાકાત દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં પણ હાજરી આપવા ઉપરાંત મોડી સાંજે યોજાયેલા એક પાટીદાર સમાજના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ દરેક કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ ઉપરાંત કેટલાક લોકો સાથે વ્યક્તિગત મુલાકાત પણ થઈ હોવાનું જાણવા મળે છે. બે દિવસની સુરતની મુલાકાત બાદ દિલીપ સંઘાણી કાર્યક્રમ પૂર્ણ કરી મોડી રાત્રે સુરતથી સીધા જ દિલ્હી જવા રવાના થયા હતા. દિલીપ સંઘાણીની સુરતની મુલાકાતથી ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી પ્રભાવિત વિસ્તારોમાં ચર્ચાનો દોર ચાલ્યો હતો તથા રાજકીય ઉત્કંઠાઓનાં વમળો સર્જાયાં હતાં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક