હોસ્પિટલમાં દાખલ 71 દર્દીઓમાંથી બેના મૃત્યુ : 42ને ડિસ્ચાર્જ કરાયા
અમદાવાદ, તા.17 : ગુજરાત સરકાર
દ્વારા અમદાવાદમાં અઈં-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ
રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ
થયા છે. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની કાર્યવાહી ચાલી રહી છે.
ત્યારે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ માહિતી આપતાં કહ્યું હતું
કે આજે સાંજે 5-45 વાગ્યા સુધીમાં 163 મૃતકોનાં
ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 124 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે.
ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું
કે, આજે 21 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. તેમણે કહ્યું
કે, દુર્ઘટના સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ- 71 પેશન્ટ માંથી 2 ના મૃત્યુ
થયા છે. બાકીના 69 માંથી 42 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1 દર્દીની સ્થિતિ ક્રિટિકલ
છે. તથા બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. તેમણે ઉમેર્યું કે, 30 મેડિકલ સ્ટુડન્ટ દાખલ
કરવામાં હતા જેમાંથી હાલ એક જ સ્ટુડન્ટ દાખલ છે.
ડો. રાકેશ જોશીએ અત્યાર સુધી
સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં ઉદેપુરના- 2 વડોદરા-
16, ખેડા-10, અમદાવાદ- 41, મહેસાણા-5, બોટાદ-1, જોધપુર-1, અરવલ્લી-2, આણંદ-9, ભરૂચ-5,
સુરત-4 ગાંધીનગર-6, મહારાષ્ટ્ર-2, દીવ-5, જૂનાગઢ-1, અમરેલી-1, ગીરસોમનાથ-3, મહીસાગર-1,
ભાવનગર-1, લંડન-2, પાટણ-1, રાજકોટ-1, મુંબઈ-3 અને નડિયાદ-1 ના પાર્થિવ દેહો સ્વજનોને
સોંપવામાં આવ્યા હતા.
ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું
કે ‘ડીએનએ સેમ્પલ માચિંગની પ્રક્રિયા અત્યંત
સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક
અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી
સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક
વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી
કરી રહી છે.’
જેમ જેમ પરિણામો આવતા જશે એમ
એમ માચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે. સાથે જ, તેમણે પરિવારજનો
પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને
કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.