• રવિવાર, 26 જુલાઈ, 2026

જેન-જીત: ધર્મેન્દ્રને શિક્ષા, હવે પ્રધાન નહીં

છાત્ર આંદોલનના 36મા દિવસે પ્રધાનનું રાજીનામું:  શિક્ષણમંત્રી પદ છોડતાં પીએમ મોદીને પત્રમાં લખ્યું, મારા માટે મારી પ્રતિષ્ઠા નહીં, યુવાનોનું ભવિષ્ય મોટું : સીજેપીની પોસ્ટ : કોકરોચની જીત થઇ: પ્રહલાદ જોશી નવા શિક્ષામંત્રી

નવી દિલ્હી, તા. 25 : નીટ પેપર લીકથી દેશભરમાં છાત્રોની આત્મહત્યા, આક્રોશ, આંદોલનો, સડકથી સંસદ સુધી સંગ્રામ, અનશન, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના છાત્ર દેખાવકારોના જંતરમંતર પર 36 દિવસથી ઉગ્ર આંદોલન બાદ આખરે શનિવારે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાં બાદ તરત પ્રતિક્રિયા આપતાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ પોસ્ટ કરીને કહ્યું હતું કે, કોકરોચની જીત થઇ છે. પ્રધાનના રાજીનામા પછી પ્રહલાદ જોશીને નવા શિક્ષામંત્રી બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુચનથી રાષ્ટ્રપતિએ આ નિયુક્તિને મંજુરી આપી હતી.

પ્રધાને પદ છોડયા બાદ સીજેપી સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું હતું કે, આ સરકારમાં રાજીનામાં ન થાય તેવું લોકો કહેતા હતા, પરંતુ તમે ડરો નહીં, સરકારની સામે નમો નહીં, તો આપ કોઇનું પણ રાજીનામું લઇ

શકો છો.

વર્ષ 2014માં  પહેલીવાર મોદી સરકાર બન્યા બાદ 12 વર્ષના કાર્યકાળમાં ધર્મેન્દ્ર પ્રધાન એવા પહેલા મંત્રી છે જેમને વિરોધનાં કારણે રાજીનામું આપવું પડયું છે.

દરમ્યાન, 27 દિવસ સુધી અનશન આંદોલન છેડી ચૂકેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકે કહ્યું હતું કે, આ લોકતંત્રની જીત છે. શાંતિ, ધૈર્ય અને દૃઢતાની જીત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપેલાં રાજીનામાંમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસની ઘટનાઓથી મારું મન બેહદ દુ:ખી છે.

પ્રધાને સ્પષ્ટપણે કહ્યંy હતું કે, આ મારા વ્યક્તિગત સન્માન કે પ્રતિષ્ઠાનો વિષય નથી, પરંતુ દેશના યુવાનોનાં ભવિષ્યનો સવાલ છે.

હું નથી ઇચ્છતો કે, છાત્રોનું ભવિષ્ય કાનૂની વિવાદો અથવા રાજકીય ટકરાવોમાં અટવાઇ જાય કે, તેમનું ધ્યાન અભ્યાસ પરથી ભટકે. આ જ ભાવના સાથે મેં પદ છોડયું છે, તેવું તેમણે જણાવ્યું હતું.

મોદીને સોંપેલા બે પાનાંના 575 શબ્દ સાથેના પત્રમાં પ્રધાને નોંધ્યું હતું કે, હું છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી છાત્ર, શિક્ષક, શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્યો છું.

જંતરમંતરમાં જે સ્થિતિ બની તેનો લાભ રાષ્ટ્ર વિરોધી તાકાતો ન ઉઠાવે અને દેશની એકતા અખંડ રહે તેની કાળજી લઇને મેં રાજીનામું આપ્યું છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, ત્રીજી માર્ચ, 2026ના નીટ-યુજી પરીક્ષામાં અનિયમિતતાની ફરિયાદ સામે આવતાં સરકારે તરત કાર્યવાહી કરી અને તપાસ સીબીઆઇને સોંપી, પુન:પરીક્ષા લઇને સફળતાથી પાર પાડી.

તેમણે જણાવ્યું હતું કે, દેશના 20 લાખથી વધુ છાત્રની પરીક્ષા નિષ્પક્ષ અને સુચારુરૂપે કરાવવી માર સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. 21 જૂનના ફરી પરીક્ષા લેવાઇ, 16 જુલાઇનાં પરિણામોમાં અનેક વંચિત પરિવારોના પ્રતિભાશાળી છાત્રોને સફળતા મળી.

વાંગચુકે લોકતંત્રની જીત ગણાવી: અભિજીતે કહ્યું, હવે સૂવા જઉં

નવી દિલ્હી, તા.2પ: પેપર લીકનાં વિરોધમાં શિક્ષામંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની મુખ્ય માગણી સ્વીકારાઈ ગયા બાદ અનશન કરનાર સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પહેલી પ્રતિક્રિયામાં આને લોકતંત્રની જીત ગણાવી હતી અને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ડાયરેક્ટ ડેમોક્રસી...સીધી સડકથી. આ શાંતિ, સંયમ અને ધગશની જીત છે.  સીજેપી, દેશની જેન-ઝીને અભિનંદન અને ડરનાં ડરને દૂર કરવા દેશનાં પ્રત્યેક ખૂણામાંથી સાથે ઉભા થયેલા પ્રત્યેક નાગરિકોનો ધન્યવાદ. જવાબદારી બાદ હવે સુધારા તરફ પ્રયાણ. તેમણે આ પોસ્ટ સાથે વિજય મુદ્રા સાથે તસ્વીર પણ જારી કરી હતી. જ્યારે આંદોલનની સફળતા બાદ સીજેપીનાં સ્થાપક અને પ્રદર્શનનાં પ્રમુખ ચહેરા અભિજીત દીપકેએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, હવે હું સૂવા જઉ છું. થોડીવાર પછી બધા લોકોને મળીશ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક