બ્રાઝીલિયન ફૂટબોલ સંઘ દ્વારા સ્થાનિક આયોજકો સાથે ફ્રેન્ડલી મુકાબલા માટે વાતચીત
નવી
દિલ્હી, તા. 25 : ભારતીય ફૂટબોલ ફેન્સનું સપનું આગામી સમયમાં હકીકત બની શકે છે. પાંચ
વખતની ફીફા વિશ્વ કપ વિજેતા ટીમ બ્રાઝીલ ઓક્ટોબર મહિનામાં ભારત પ્રવાસે આવી શકે છે.
એક રિપોર્ટ અનુસાર બ્રાઝીલિયન ફૂટબોલ મહાસંઘ (સીબીએફ) ભારતમાં એક ઈન્ટરનેશનલ ફ્રેન્ડલી
મેચ કરાવવા માટે સ્થાનિક આયોજકો સાથે અંતિમ તબક્કાની વાતચીત કરી રહ્યું છે. બ્રાઝીલ
પહેલા જ સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે બે ફ્રેન્ડલી મુકાબલા રમવા સહમત થયું
છે. પહેલો મેચ 25 સપ્ટેમ્બરે અને બીજો મુકાબલો 29 સપ્ટેમ્બરે રમાવાનો છે. ત્યારબાદ
ટીમ ઓક્ટોબરની શરૂઆતમાં ભારતમાં ત્રીજો મુકાબલો રમી શકે છે. જો કે બ્રાઝીલની ટક્કરમાં
કોણ હશે તેનો નિર્ણય હજી સુધી થયો નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકાબલાના
આયોજન માટે કોલકાતાને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો વાતચીત સફળ રહેશે તો
બ્રાઝીલની રાષ્ટ્રીય ટીમ ઘણા વર્ષ બાદ ભારતના મેદાનમાં ઉતરશે.