4 જુલાઈએ સાણંદ ખાતે દેશના મહત્ત્વપૂર્ણ એવા ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.30 ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 જુલાઈ, 2026ના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ સાણંદ ખાતે દેશના મહત્ત્વપૂર્ણ એવા ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ભારતને વૈશ્વિક ટેકનોલૉજી અને ચિપ મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે.
સાણંદ ખાતે કાર્યરત થઈ રહેલો આ નવો સીજી મિકન્ડક્ટર પ્લાન્ટ અદ્યતન ટેકનોલૉજીથી સજજ છે. આ ફેસિલિટી મુખ્યત્વે સેમિકન્ડક્ટરના એસેમ્બાલિંગ અને ટેસ્ટિગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમમાં આ તબક્કો અત્યંત મહત્ત્વનો ગણાય છે, કારણ કે તૈયાર વેફરને ઉપયોગી ચિપ્સમાં ફેરવવા માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને કેન્દ્ર સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનના કારણે રાજ્યમાં સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. સાણંદમાં આ પ્લાન્ટ શરૂ થવાથી માત્ર સ્થાનિક રોજગારીમાં જ વધારો નહીં થાય, પરંતુ ભારતની વૈશ્વિક સપ્લાય ચેઈનમાં પણ પકડ મજબૂત બનશે. આ પ્રોજેક્ટથી ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને અન્ય ટેકનિકલ ક્ષેત્રોને મોટો ફાયદો થશે.