સીજેઆઈ સૂર્યકાંતને લખાયો સંયુક્ત પત્ર : ચૂંટણી સંબંધિત અનેક મુદ્દે ઉઠાવાયા સવાલ
નવીદિલ્હી,તા.30:
દેશભરમાં એક તરફ ચૂંટણી આયોગ મતદાર યાદીમાં સુધારા માટે મોટાપાયે વિશેષ સઘન પુન:નિરીક્ષણ(સર)ની
કામગીરી ચલાવી રહ્યું છે ત્યારે બીજીબાજુ આ મુદ્દે રાજકીય ગરમાટો વધી ગયો છે કારણ કે
દેશનાં 23 રાજકીય દળો અને એક અપક્ષ સાંસદે મળીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)
સૂર્યકાંતને સંયુક્ત પત્ર મોકલ્યો છે. આ પત્રમાં ચૂંટણી પંચની ભૂમિકા અને ચૂંટણી સાથે
જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું
હતું કે, આ મુદ્દે તમામ વિરોધ પક્ષો આ મુદ્દે સંપૂર્ણપણે સંગઠિત છે.
જયરામ
રમેશે જણાવ્યું હતું કે, 8 જૂન, 2026ના રોજ ‘ઇન્ડિયા’ ગઠબંધનના નેતાઓની મહત્વપૂર્ણ
બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 21 રાજકીય પક્ષો અને એક અપક્ષ સાંસદે ભાગ લીધો હતો. તે જ
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ચૂંટણી આયોગની કાર્યપદ્ધતિ અને સર પ્રક્રિયા
અંગે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખવામાં આવશે. હવે આ પત્રને વિરોધ પક્ષોનું વધુ વ્યાપક
સમર્થન મળ્યું છે. મળતી માહિતી મુજબ, આજે મોકલાયેલા અંતિમ પત્ર પર કુલ 23 રાજકીય પક્ષો
અને એક અપક્ષ સાંસદે હસ્તાક્ષર કર્યા છે. આ
સંયુક્ત પત્ર પર અપક્ષ સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ હસ્તાક્ષર કર્યા છે.
ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ’બ્રાયને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ અભિયાનમાં
આમ આદમી પાર્ટી (આપ) અને ડીએમકે પણ જોડાયા છે અને બંને પક્ષોએ આ પત્ર પર સહી કરી છે. આ પત્રમાં ચૂંટણી આયોગની ભૂમિકા અને તેની કાર્યપદ્ધતિ
અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો
છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી આયોગની સર પ્રક્રિયા પર સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. વિરોધ
પક્ષોનું માનવું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હસ્તક્ષેપ જરૂરી
છે.