પાકના ભાગનું સિંધુનું પાણી રોકશો તો હાથ કાપી નાખશું ઃ જળવાયુ પરિવર્તન મંત્રી
નવી દિલ્હી, તા. 30 ઃ પહેલગામના હિચકારા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર સ્થગિત કરી દેવાનું મહત્ત્વનું પગલું ભરતાં પાણી માટે વલખાં મારવાની સ્થિતિમાં આવી ગયેલા પાકિસ્તાને ફરી એકવાર ભારતને પોકળ ધમકી આપી છે. પાકના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે જણાવ્યું હતું કે, અમે અગાઉ પણ એઁ કહી ચૂક્યા છીએ કે, જે કોઈ પણ પાકિસ્તાનના ભાગનું પાણી રોકશે તેના હાથ કાપી નાખવામાં આવશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એઆરવાયને આપેલી મુલાકાતમાં મલિકે આવી ધમકી આપી દીધી હતી. બીજી તરફ પાકના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમના પર નિશાન તાક્યું હતું. પાકના અખબાર ડોનના જણાવ્યા અનુસાર તરારે કહ્યું હતું કે, એક પાડોશી દેશના વડાપ્રધાનના હાથમાં પાણીનો નળ છે અને તેઓ કહે છે કે, પાકિસ્તાને પાણીનું એક ટીપું પણ અપાશે નહીં. કોઈ પણ દેશ એકતરફી રીતે સમજૂતી રદ કરી શકે નહીં.
દુનિયાભરમાં ભીખનો કટોરો લઈને ફરતું પાકિસ્તાન સિંધુ કરાર સ્થગિત થતાં પરેશાન થઈ ઊઠÎું છે અને બેફામ વાણીવિલાસ કરી રહ્યું છે. જો કે, ભારતે બહુ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે લોહી અને પાણી સાથે વહી શકે નહીં. આતંકવાદ અને વાતચીત એક સાથે થઈ શકે નહીં. હાલમાં જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પહેલગામના હુમલા બાદ અમે સિંધુ કરાર સ્થગિત કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, અમે સિંધુ નદીના જળ આતંકવાદીઓના આકા અને માનવતાના દુશ્મનો સુધી પહોંચવા દેશું નહીં.
--