ઓપરેશન સિંદૂરમાં જવાનોની શહાદત મુદ્દે લોકસભાને ગેરમાર્ગે દોરવવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માગણી કરતો કોંગ્રેસ
નવીદિલ્હી, તા.30 : ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા
ભારતીય જવાનો મુદ્દે સંસદને ગેરમાર્ગે દોરવવાના આરોપ સાથે કોંગ્રેસના સંગઠન મહામંત્રી
કેસી વેણુગોપાલે રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિરુદ્ધ લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ
આપી છે. વેણુગોપાલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને આગ્રહ કર્યો છે કે, સદનને ગુમરાહ કરવા
માટે રક્ષામંત્રી ખિલાફ વિશેષાધિકાર હનનની કાર્યવાહી શરૂ કરવામાં આવવી જોઈએ.
તેમણે
નોટિસમાં કહ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર ઉપર લોકસભામાં
28 જુલાઈ, 202પના રોજ થયેલી ચર્ચા દરમિયાન રક્ષામંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, તમારે
પ્રશ્ન પૂછવો હોય તો પૂછો કે આ ઓપરેશનમાં આપણાં કેટલા સૈનિકોની ક્ષતિ થઈ છે ? તો આવા
સવાલનો ઉત્તર છે કોઈ નહીં.
કોંગ્રેસ
નેતાએ દાવો કર્યો હતો કે, આનાથી વિપરિત પછી એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું
કે, ઓપરેશન સિંદૂરમાં આપણાં સશત્ર દળોનાં છ જવાન શહીદ થયા છે. નોટિસમાં કહેવામાં આવ્યું
છે કે, આ તથ્યો સ્પષ્ટ કરે છે કે રક્ષામંત્રીએ સદનમાં ખોટું અને ભ્રામક નિવેદન આપ્યું
હતું. ગૃહને ગેરમાર્ગે દોરવા કે પછી તથ્યો છૂપાવવા વિશેષાધિકાર ભંગ અને ગૃહની અવમાનના
ગણાય છે. તેથી તેમની સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ થવી જોઈએ.