આગામી ચોમાસું સત્રમાં જેપીસી દ્વારા રિપોર્ટ રજૂ થવાની સંભાવના ઓછી : મોદી સરકારની આશાને લાગી શકે છે ઝટકો
નવી
દિલ્હી, તા. 30 : વન નેશનલ, વન ઇલેક્શન એટલે કે એક દેશ, એક ચૂંટણી અંગેની મોદી સરકારની
કોશિશોને થોડો ઝટકો લાગવાની સંભાવના છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે
કરાવવાના પ્રસ્તાવ સંબંધિત ખરડાની તપાસ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)આગામી
ચોમાસું સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે તેવી શક્યતા ઓછી છે.
સૂત્રો
અનુસાર લોકસભાએ સમિતિનો કાર્યકાળ ચોમાસું સત્રના અંતિમ દિવસ સુધી લંબાવ્યો હતો પણ સમિતિનો
દેશભરમાં પરામર્શ હજી પૂરો થયો નથી. તેવામાં માનવામાં આવે છે કે ભલામણોને અંતિમ રૂપ
આપતા પહેલાં જેપીસી થોડા વધુ સમયની માગણી કરી શકે છે. આ વિલંબ એટલે પણ મહત્ત્વપૂર્ણ
છે કારણ કે એવી અટકળો સામે આવી હતી કે કેન્દ્ર સરકાર જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં
શરૂ થઈ રહેલાં ચોમાસું સત્રમાં જ સીમાંકન અને વન નેશનલ, વન ઇલેક્શન જેવાં મહત્ત્વપૂર્ણ
સંવિધાન સંશોધન બિલને આગળ વધારવા ઈચ્છે છે.
જેપીસીમાં
કુલ 39 સભ્ય છે અને તેની અધ્યક્ષતા ભાજપ સાંસદ પીપી ચૌધરી કરી રહ્યા છે. સમિતિ વર્તમાન
સમયે સંવિધાન (129મું સંશોધન) વિધેયક, 2024 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાનૂન (સંશોધન)
વિધેયક, 2024ની સમીક્ષા કરી રહી છે. જેને ડિસેમ્બર 2024માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું
હતું. બાદમાં બન્નેને આગળની કાર્યવાહી માટે બન્ને સદનની સંયુક્ત સમિતિ પાસે મોકલવામાં
આવ્યા હતા.