• રવિવાર, 01 માર્ચ, 2026

ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી ભારતને થશે અસર

            બંને સાથે મિત્રતા; ઈરાન સાથે તેલ વ્યાપાર-સાંસ્કૃતિક સંબંધ પણ હોવાથી યુદ્ધ કરી શકે પ્રભાવિત

નવી દિલ્હી, તા.28 : મધ્ય એશિયામાં ફરી એક વખત મોટું યુદ્ધ છેડાઈ ગયું છે. આ યુદ્ધની ભારત પર પણ અસર પડશે. કેમકે લડનારા બંને દેશ ભારતના મિત્ર છે. ભારત સરકારે ઈઝરાયેલ અને ઈરાનમાં રહેનારા પોતાના નાગરિકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.

ભારતના સંબંધ ઈઝરાયેલ અને ઈરાન બંને સાથે સારા છે. ભારત ઈરાનથી મોટા પ્રમાણમાં તેલની ખરીદી કરે છે અને બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક તેમજ વ્યાપાર સંબંધ પણ સારા છે. 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન યાત્રા દરમ્યાન ચાબહાર બંદર અંગે કરાર કરવામાં આવ્યો હતો. આ પછી ભારત દર વર્ષે ચાબહાર બંદર માટે બજેટની

ફાળવણી કરતું હતું. જોકે આ વર્ષે પહેલી વખત બજેટફાળવણી કરવામાં આવી નથી.

એક અખબારી અહેવાલ મુજબ ભારત પર ગંભીર અસર એટલા માટે પણ પડી શકે છે કેમકે ભારત ઈરાનના રસ્તે જ મધ્ય એશિયાથી જોડાયેલું છે. ચાબહાર બંદર ચીન અને પાકિસ્તાનને જવાબ આપવા માટે પણ મહત્ત્વનું છે.

ભારતની પકડ મધ્ય એશિયા પર ઢીલી થાય એમ ચીન અને પાકિસ્તાન પણ ઈચ્છે છે. જો ચાબહારનો રસ્તો બાધિત થાય તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વ્યાપારિક સંબંધ પણ પ્રભાવિત થાય તેમ છે અને તેનો ફાયદો ઉઠાવવા ચીન પ્રયાસ કરશે.

ઈરાનના રસ્તે કઝાકિસ્તાન જેવા દેશો સાથે પણ વ્યાપાર થાય છે અને ભારત યુરેનિયમ જેવા રેર અર્થ મિનરલ્સની આયાત કરતું હોવાથી આ યુદ્ધને કારણે તેના પર પણ અસર પડી શકે છે. ઈરાનમાં પચ્ચીસ હજાર જેટલા ભારતીય રહે છે. જો યુદ્ધ વધે તો ભારત તેમને બહાર કાઢવાના ઉપાય પણ કરશે.

 યુદ્ધથી ભારતમાં ધ્રાસ્કો

શેર રોકાણકારો ડર્યા; ઈંધણ સળગશે: સોનાં- ચાંદીમાં થઇ શકે વધારો

નવી દિલ્હી, તા. ર8 : ઇરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે ગંભીર વળાંક લઇ રહ્યું છે. આ યુદ્ધમાં હવે સાતથી આઠ દેશ જોડાયા છે. ઇરાન મધ્ય પૂર્વમાં યુ.એસ. લશ્કરી થાણાઓને નિશાન બનાવી રહ્યું છે. લેબેનોન અને હુતી જેવા દેશો પણ ઇરાન વતી હુમલાઓ કરી રહ્યા છે. ઇઝરાયલ પર અનેક દેશો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આનાથી વિશ્વમાં ભયની લાગણી ફેલાઇ છે. જો કે, આ હુમલો કેટલો લાંબાગાળાનો અને ગંભીર રહેશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. શેરબજારમાં રોકાણકારો પણ ચિંતિત છે. શેરમાં કડાકો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જેવાં પરિબળો ભારતને અસર કરી શકે તેમ છે.

આ યુદ્ધ ફાટી નીકળવાથી ભારત સહિત વિશ્વભરના રોકાણકારો ડરી ગયા છે. નિષ્ણાતો કહે છે કે, આ હુમલાથી ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવવાની ખાતરી છે, જેનાથી ફુગાવો વધી શકે છે. ભારત સહિત ઘણા દેશો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પોતાનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. આ યુદ્ધ દરમ્યાન આ વિસ્તાર બંધ રહેવાની ધારણા છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થશે. શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવ 2.78 ટકા વધીને 67.02 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયા. સોમવારે કોમોડિટી બજાર ખૂલશે ત્યારે તે વધુ વધશે.

આ યુદ્ધ એટલું ગંભીર બની ગયું છે કે, નિષ્ણાતો માને છે કે, સોમવારે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. આ ઘટાડાનું પ્રમાણ રોકાણકારોના સેન્ટિમેન્ટને કારણે સેન્સેક્સ 961 પોઇન્ટ અથવા 1.17 ટકા અને નિફ્ટી 317 પોઇન્ટ અથવા 1.25 ટકા ઘટીને બંધ થયો. હવે રોકાણકારો સોમવાર પર નજર રાખશે.

જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય છે, ત્યારે સોનાં-ચાંદી અને તાંબા જેવી સલામત સંપત્તિના ભાવ વધે છે. અશાંતિના કારણે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક