ધ વાશ્ગિંટન પોસ્ટમાં વીમા કંપનીએ અદાણી જૂથમાં 33 હજાર કરોડનું રોકાણ કર્યું હોવાનો દાવો : કોંગ્રેસનો આરોપ, જૂથને ફાયદા માટે ગ્રાહકોની મહેનતની કમાણી રોકી
નવી દિલ્હી, તા. 25 : અમેરિકી
મીડિયાના અહેવાલથી ભારતીય જીવન વીમા નિગમ (એલ.આઈ.સી.) સામે સવાલ સર્જાયા છે. એલ.આઈ.સી.
પર અદાણી જૂથમાં 3.9 અબજ ડોલર એટલે કે, લગભગ 33 હજાર કરોડ રૂપિયાનાં રોકાણનો મોટો આરોપ
લાગ્યો છે.
અમેરિકી અહેવાલ ટાંકતાં કોંગ્રેસે
આરોપ મૂક્યો હતો કે, વીમા કંપનીએ અદાણી જૂથને ફાયદો અપાવવા માટે મે 2025માં આ રોકાણ
કર્યું હતું.
ગ્રાહકોની મહેનતની કમાણીનો દુરુપયોગ
કરાયો છે, તેવું કહેતાં કોંગ્રેસે સંસદની જાહેર હિસાબ સમિતિ સમક્ષ આ મામલાની તપાસ કરવાની
માંગ કરી હતી.બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાએ ધ વોશિંગ્ટન પોસ્ટનો અહેવાલ
પોસ્ટ કરીને પ્રહારની તક ઝડપી લીધી હતી.
અમેરિકી મીડિયાના આ અહેવાલ અનુસાર,
ગૌતમ અદાણી ચાલુ વર્ષના પ્રારંભમાં ભારે કરજમાં હતા, ત્યારે કેન્દ્ર સરકાર અને ભારતીય
જીવન વીમા નિગમ (એલ.આઈ.સી.)એ અદાણી જૂથમાં
રોકાણ કર્યું હતું.
દરમ્યાન, ભારતીય જીવન વીમા નિગમ
(એલ.આઈ.સી.)એ અમેરિકી મીડિયા ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં કરાયેલા આ ગંભીર આરોપ નકારી
દીધા હતા.એલ.આઈ.સી. તરફથી સ્પષ્ટપણે જણાવાયું હતું કે, અમારાં તમામ રોકાણ પૂરતી પ્રામાણિક્તા
અને સાવધાનીપૂર્વક ચકાસણી સાથે જ કરાય છે.
અમેરિકી અહેવાલમાં બતાવાયેલા
કોઈ પણ એવા દસ્તાવેજ કે યોજના અમે કદી તૈયાર નથી કર્યા, જેમાં એલ.આઈ.સી. દ્વારા અદાણી
જૂથમાં રોકાણનું કોઈ આયોજન હોય.