• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ગિરનાર બચાવોની માગ સાથે સાધુ-સંતો અને સનાતનીઓની રેલી

અપમાનજનક પ્રવૃત્તિઓ અને હિન્દુ ધર્મસ્થાનો ઉપર સામ-દામ દંડની નીતિથી કબજો કરવાની પેરવીઓ દૂર કરવા માગણી : કલેક્ટરને આવેદન

જૂનાગઢ, તા.23 : ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનાર બચાવોની માગણી સાથે સાધુ-સંતોની આગેવાનીમાં સનાતનનીઓની રેલી યોજાઇ હતી. રાષ્ટ્રપતિને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં ગિરનારની અપમાનજનક પ્રવૃત્તિઓ અને હિન્દુ ધર્મસ્થાનો ઉપર સામ-દામ દંડની નીતિથી કબજો કરવાની પેરવીઓ દૂર કરવા માગણી  કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં આક્ષેપ કરાયો હતો કે ગિરનાર ક્ષેત્રમાં જૈન સંપ્રદાય પ્રેરિત સંસ્થાઓ તથા જેનાચાર્ય દ્વારા સનાતન વિરુદ્ધની પ્રવૃત્તિઓ થઈ રહી છે તે અટકાવી ગિરનાર બચાવવા માટે માગણી કરી હતી. સીતાવન જગ્યા સામે ચેકડેમ ઉપર દેરાસર પાછળ 3000 ચોરસ ફૂટ જમીન ઉપર 600થી વધુ વૃક્ષો છે તે રક્ષિત કરવા, સીતાવન પ્રવેશદ્વારની બન્ને બાજુ ડેરીઓ છે ત્યાં ચરણપાદુ મૂકી સિમેન્ટ કોંક્રિટના બાંધકામ કરાયા છે અને તેને દિશા કલ્યાણ ભૂમિ અને કેવલ ભૂમિ તરીકે ઓળખાવે છે તે દૂર કરવા.  ઉપરાંત સીતાવનથી ગૌમુખી ગંગા તરફ રામજી મંદિરની જગ્યાથી આગળ જૈન શ્વેતાંબર સંપ્રદાય તથા તેના વહીવટ કરતા દેવચંદ લક્ષ્મીચંદ પેઢી દ્વારા 1980થી અત્યાર સુધીમાં અંદાજે 60000 ચોરસ ફુટમાં બાંધકામ કર્યું છે તે વન વિભાગની જમીન હોય તેને કાયદેસર કરવા માટે ચેરિટી કમિશનરમાં તજવીજ થઈ રહી છે. તે અટકાવવી આ જગ્યાએ ઊભા કરેલા સ્મારકો દૂર કરવા તથા ગિરનાર ક્ષેત્રમાં જૈન ધાર્મિક જગ્યામાં જૈન મુનિઓના અગ્નિસંસ્કાર કે સમાધિ સ્થાન ન બનાવવા માગણી કરી છે.

જિલ્લા કલેક્ટરને મહંત મહેશગીરી, મહાદેવ ગીરી તથા ભગવતીદાસબાપુએ ભારપૂર્વક રજૂઆત કરી કે, ગિરનાર ક્ષેત્રમા સમાન ન્યાય થવો જોઈએ, વહાલા દવલાની નીતિ ચલાવી લેવાશે નહીં. જિલ્લા કલેક્ટરે ન્યાયની ખાતરી આપી હતી.

---------------------

જૈન સંપ્રદાયે વિવિધ સ્થળે જાપ કર્યા 

ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા સાધુ-સંતોની આગેવાની હેઠળ સનાતનીઓની મહારેલીની સાથે જૈન સમાજ દ્વારા વિવિધ સ્થળોએ શાંતિ માટે જાપ કર્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીએ જૈનોની આસ્થા સાચી ઠેરવી હોય તેમ કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી આ માટે જૈન સંપ્રદાયે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢના પ્રમુખ હિતેશ ભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ અને વહીવટી તંત્રની સતર્કતાથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. આ મહારેલીમાં 1500થી 2000 લોકો જોડાયા હતા. જૈનો હંમેશાં શાંતિ ઇચ્છે છે પરંતુ કેટલાક લેભાગુઓ પોતાની મહેચ્છા પૂર્ણ કરવા સનાતનનીઓને ગુમરાહ કરી શાંતિ ડહોળાય તેવો પ્રયાસ કરી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક